ગાંધીનગર : ગુજરાતમાં રાજયસભાની ચાર બેઠકો માટે ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે. નામ પરત લેવાની સમય મર્યાદા પૂર્ણ થતાં ચાર બેઠકો માટે માત્ર ચાર જ ઉમેદવારો રહ્યા હતા. જેમાં ઉમેદવારો જીતેન્દ્ર કણઝારીયા, માનસિંહ પરમાર, રાજેશ શુક્લ અને રાઠવા મુકેશ બિનહરીફ વિજેતા જાહેર કરાયા છે. આ ચૂંટાયેલા ઉમેદવારો રાજ્યસભાના વર્તમાન સભ્યો, રામભાઈ મોકરીયા, નરહરી અમીન, રમીલાબેન બારા અને શક્તિસિંહ ગોહિલનું સ્થાન લેશે. જેમની મુદ્દત 21 જુન 2026ના રોજ પૂરી થઈ રહી છે.
ચાર ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા
આ અંગે ચૂંટણી અધિકારી ચેતન પંડ્યાએ જણાવ્યું હતું કે, રાજ્યસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની અંતિમ તારીખ આજે 11 જૂન બપોરે 3 વાગ્યા સુધી નક્કી કરવામાં આવી હતી. જે દરમિયાન માત્ર ચાર જ ઉમેદવારોના ફોર્મ આવ્યા હતા. જેના પગલે ચાર ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ચારેય ઉમેદવારોના ઉમેદવારી પત્ર માન્ય ઠર્યા હતા
અત્રે ઉલ્લેખનીય છે કે 01 જૂન 2026 નાં રોજ ભારતના ચૂંટણી પંચે ગુજરાત રાજ્યની રાજ્યસભાની ચાર બેઠકો માટેની ચૂંટણીની જાહેરાત કરી હતી. જેમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી 8 જૂન 2026 સુધીમાં ચાર ઉમેદવારી પત્રો મળ્યા હતા. જેની ચકાસણી 9 જૂનના રોજ કરવામાં આવેલ અને ચારેય ઉમેદવારોના ઉમેદવારી પત્ર માન્ય ઠર્યા હતા