Fri Jul 24 2026

Logo

નવસારી-વાપી-પાલનપુરને ભેટ: મુખ્યમંત્રી શહેરી બસ સેવા હેઠળ નવા ૧૭ રૂટ શરૂ થશે

2026-04-30 14:28:00
Author: Mayur Patel
Article Image

ગાંધીનગરઃ રાજ્યના નગર અને મહાનગરોમાં વસતા નાગરિકોની સુખાકારી અને આધુનિક પરિવહન સેવાઓ પૂરી પાડવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. આ દિશામાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા મુખ્યમંત્રી શહેરી બસ સેવા યોજના હેઠળ વિવિધ મહાનગરપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં બસ સેવા શરૂ કરવા માટે નવા રૂટની મંજૂરી આપવામાં આવી છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી દ્વારા નવા ૧૭ રૂટને લીલી ઝંડી આપવામાં આવતા હવે રાજ્યના ત્રણ મહત્વના શહેરોમાં જાહેર પરિવહન વ્યવસ્થા વધુ સુદ્રઢ બનશે.

આ મંજૂરી અન્વયે નવસારી મહાનગરપાલિકા વિસ્તાર માટે નવા ૦૭ રૂટ મંજૂર કરવામાં આવ્યા છે. નવસારીમાં આ રૂટ શરૂ થવાથી સ્થાનિક નાગરિકોને શહેરના એક છેડેથી બીજા છેડે જવા માટે સરળ અને સસ્તી પરિવહન સેવા ઉપલબ્ધ થશે. તેવી જ રીતે વાપી મહાનગરપાલિકા વિસ્તાર માટે નવા ૦૪ રૂટની મંજૂરી આપવામાં આવી છે. વાપી જેવા ઔદ્યોગિક હબમાં નવા બસ રૂટ શરૂ થવાથી શ્રમિકો અને નોકરિયાત વર્ગને અવરજવર માટે મોટી રાહત મળશે અને ખાનગી વાહનોની નિર્ભરતામાં ઘટાડો આવશે. 

પાલનપુર નગરપાલિકા વિસ્તારના વિકાસને ધ્યાને રાખીને ત્યાં પણ નવા ૦૬ રૂટ મંજૂર કરવામાં આવ્યા છે. બનાસકાંઠાના મુખ્ય મથક એવા પાલનપુરમાં બસ સેવાનો વ્યાપ વધતા આસપાસના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ અને સામાન્ય જનતાને તેનો સીધો લાભ મળશે. સરકારના આ આયોજનબદ્ધ નિર્ણયથી શહેરી વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટવાની સાથે સાથે પર્યાવરણને પણ ફાયદો થશે.

આ નવા ૧૭ રૂટ શરૂ થવાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોની રોજિંદી મુસાફરીને સુવિધાયુક્ત અને સમયબદ્ધ બનાવવાનો છે. અંતરિયાળ વિસ્તારો સુધી બસ કનેક્ટિવિટી પહોંચવાથી સામાન્ય નાગરીકોના સમય અને નાણાં બંનેની બચત થશે તેમ નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.