Sat May 30 2026

Logo

અમદાવાદની ઐતિહાસિક ધરોહરને મળશે નવું જીવન: 50 લાખના ખર્ચે શરૂ થયો 'માતર ભવાની વાવ'નો જીર્ણોદ્ધાર

2026-05-30 20:01:22
Author: Devayat Khatana
Article Image

અમદાવાદ: ભારતના હેરિટેજ સિટી અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી અને રાષ્ટ્રીય સંરક્ષિત સ્મારક તરીકે ઓળખાતી ઐતિહાસિક માતર ભવાની વાવના સંરક્ષણ અને જીર્ણોદ્ધાર માટે ભારતીય પુરાતત્વ વિભાગ (ASI) દ્વારા રૂ. 50 લાખના ખર્ચે પુનઃસ્થાપન કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. થોડા મહિના અગાઉ વાવમાં તિરાડો પડવાના સમાચાર સામે આવ્યા બાદ રાજ્ય સરકારના પ્રધાન દર્શનાબેન વાઘેલાએ આ બાબતમાં અંગત રસ દાખવી ભારતીય પુરાતત્વ વિભાગને વાવના સંરક્ષણ અને જરૂરી મરામત કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી.

આ પ્રસંગે અમદાવાદ શહેરના મેયર હિતેશ બારોટ, અમદાવાદના સાંસદ દિનેશ મકવાણા, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ, પક્ષના નેતાજશુભાઈ ઠાકોર તેમજ અસારવા અને શાહીબાગ વોર્ડના કોર્પોરેટરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

આ પહેલના અનુસંધાને ASI દ્વારા વાવના સંરક્ષણ અને ઐતિહાસિક વારસાના જતન માટે રૂ. 50 લાખના ખર્ચે જીર્ણોદ્ધાર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આ કામગીરીના ખાતમુહૂર્ત કાર્યક્રમનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્ય સરકારના પ્રધાન દર્શનાબેન વાઘેલા મુખ્ય ઉપસ્થિતિમાં રહ્યા હતા.

માતર ભવાની વાવ અમદાવાદના મહત્વપૂર્ણ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસામાં સ્થાન ધરાવે છે. વાવમાં તિરાડો પડવાના અહેવાલો સામે આવ્યા બાદ તેના અસ્તિત્વ અને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. હવે ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા હાથ ધરાયેલી જીર્ણોદ્ધાર કામગીરીથી આ ઐતિહાસિક સ્મારકનું સંરક્ષણ સુનિશ્ચિત થશે અને ભાવિ પેઢીઓ માટે શહેરની આ અમૂલ્ય ધરોહર વધુ સુરક્ષિત રીતે જળવાઈ રહેશે.

સ્થાનિક નાગરિકો અને વારસાપ્રેમીઓએ પણ આ કામગીરીને આવકારતા જણાવ્યું હતું કે, માતર ભવાની વાવ જેવા ઐતિહાસિક સ્મારકોનું સંરક્ષણ શહેરની સાંસ્કૃતિક ઓળખ જાળવવા માટે અત્યંત જરૂરી છે. ASI દ્વારા શરૂ કરાયેલ રૂ. 50 લાખના જીર્ણોદ્ધાર પ્રોજેક્ટથી વાવની મૂળ ઐતિહાસિક રચના અને સ્થાપત્ય વૈભવને જાળવી રાખવામાં મહત્વપૂર્ણ મદદ મળશે.

ઉલ્લેખનીય છે કે અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી માતર ભવાની વાવ 14મી સદીમાં બંધાયેલી છે. આ વાવના બાંધકામનો ચોક્કસ સમય નક્કી થઈ શકતો નથી, પરંતુ તે સલ્તનતકાળમાં તો હશે જ એવું માની શકાય છે. આ વાવનું બાંધકામ જોતાં આ વાવ અમદાવાદ શહેર વસ્યું તે પહેલાંની હોવાનું લાગે છે.  ‘મિરાતે અહમદી’ ગ્રંથમાં મીરઝા મુહમ્મદ હસન ઉર્ફે અલી મુહમ્મદખાને આ વાવનો ઉલ્લેખ કર્યો છે.