અમદાવાદઃ અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તેને એક વર્ષ પૂર્ણ થશે. અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171 પ્લેન ક્રેશની ભયાનક દુર્ઘટના 12 જૂન 2025ના રોજ સર્જાઈ હતી, જેમાં કુલ 260 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેના રિપોર્ટને લઈને એક મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યાં છે. આ એરક્રાફ્ટ અકસ્માત તપાસ બ્યુરો એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યૂરો - AAIB) દ્વારા આ દુર્ઘટનાનો રિપોર્ટ જાહેર કરી શકે છે.
ટેકઓફ કર્યાની માત્ર 32 સેકન્ડોમાં ક્રેશ થઈ ગયું
જે વિમાન ક્રેશ થયું તેમાં સવાર તમામ મુસાફરોનું મોત થયું હતું. આ દુર્ઘટના વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની હતી. આ વિમાન અમદાવાદથી લંડન જઈ રહ્યું હતું. ટેકઓફ કર્યાની માત્ર 32 સેકન્ડોમાં જ તે આકાશમાં આગનો ગોળો બની ગયું અને અમદાવાદના મેઘાણીનગર નજીક બી.જે. મેડિકલ હોસ્ટેલની સાઇટ પર તૂટી પડ્યું હતું, જ્યાં મેડિકલના વિદ્યાર્થી પણ ભોગ બન્યા હતા.
આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનના એનેક્સમાં જણાવાયું છે કે, જો અકસ્માતના 12 મહિનાની અંદર અંતિમ અહેવાલ જાહેર ન કરી શકાય તો સંબંધિત દેશે દરેક વર્ષગાંઠ પર તપાસની પ્રગતિની વિગતો આપતું વચગાળાનું નિવેદન બહાર પાડવું જોઈએ. હવે એ જોવાનું રહેશે કે આ વર્ષગાંઠે કોઈ ફાઈનલ રિપોર્ટ્સ જાહેર કરવામાં આવશે કે પછી સરકાર દ્વારા કોઈ વચગાળાનું નિવેદન આપી દેવામાં આવશે?
ક્યારે બની હતી આ દુર્ઘટના?
અમદાવાદમાં એર ઈન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તે દુર્ઘટના ભારતના એવિયેશન ઈતિહાસની સૌથી મોટી કમનસીબ દુર્ઘટના હતી. એર ઈન્ડિયાની ફ્લાઈટ નંબર AI-171 અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટથી લંડન જઈ રહ્યું હતું. વિમાન ટેક ઓફ થયું તેની થોડી જ સેકન્ડમાં વિમાને કંટ્રોલ ગુમાવ્યો અને તે ક્રેશ થઈ ગયું હતું. આ દુર્ઘટનામાં એક-બે લોકોના નહીં પરંતુ 260 લોકોના મોત થયાં હતાં. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય પ્રધાન સહિત અન્ય લોકો પણ મુસાફરી કરી રહ્યાં હતાં. આ વિમાન ક્રેશ દુર્ઘટનામાં એક ભારતીય મૂળનો બ્રિટિશ નાગરિક વિશ્વાસ કુમાર રમેશ જીવતો બચ્યો હતો.