Sun Apr 26 2026

Logo

વૈભવ સૂર્યવંશી ઈજાગ્રસ્ત, શું પંજાબ સામેની મેચ રમશે? બેટિંગ કોચે આપ્યું મોટું અપડેટ

2026-04-26 15:19:00
Author: Savan Zalariya
Article Image

જયપુર: બિહારનો 15 વર્ષીય ‘વન્ડર બોય’ વૈભવ સૂર્યવંશી ઇન્ડિયન પ્રીમિયર લીગ(IPL) 2026માં એક પછી એક રેકોર્ડ તોડી રહ્યો છે, ગઈ કાલે જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ(SRH) સામેની મેચ વૈભવે રાજસ્થાન રોયલ્સ (RR) માટે 37 બોલમાં 103 રનની ઇનિંગ રમી, જેમાં તેણે 5 ચોગ્ગા અને 12 છગ્ગા ફટકાર્યા, પરંતુ આ ઇનિંગ બાદ ફિલ્ડીંગ દરમિયાન વૈભવને ઇજા પહોંચી હતી, જેને કારણે તેના ચાહકો ચિંતામાં છે.
ગઈ કાલની મેચમાં બીજી ઇનિંગ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે વૈભવ લંગડાતો જોવા મળ્યો હતો, ટીમના ફિઝિયો મેદાનમાં આવ્યા અને વૈભવની સારવાર કરી. રાજસ્થાનના રોયલ્સ ટીમ મેનેજમેન્ટ અને વૈભવના ચાહકોમાં ચિંતા વ્યાપી ગઈ હતી કે, ઈજા ગંભર સાબિત થાય તો તેના પરફોર્મન્સ પર અસર થઇ શકે છે. એવામાં RRના બેટિંગ કોચ, વિક્રમ રાઠોરે વૈભવની ફિટનેસ અંગે માહિતી આપી છે.

બેટિંગ કોચે આપ્યું અપડેટ:
મેચ બાદ વિક્રમ રાઠોરે  કહ્યું કે, "વૈભવને હેમસ્ટ્રિંગમાં ખેંચાણની તકલીફ થઇ હતી, પરંતુ હાલ તેની સ્થિતિ ઠીક જણાઈ રહી છે. એક કે બે દિવસમાં સ્થિતિ વધુ સ્પષ્ટ થશે, પરંતુ તેને કંઈ ગંભીર ઈજા થઇ હોય એવું  લાગતું નથી."

RRની અગામી મેચ પંજાબ કિંગ્સ સામે 28 એપ્રિલના રોજ રમાશે, ચાહકોને પ્રશ્ન છે કે વૈભવ આ મેચ રમી શકશે કે નહીં. વિક્રમ રાઠોરે આ અંગે કઈ સ્પષ્ટ કર્યું નથી. 

વૈભવ ઓરેન્જ કેપની રેસમાં:
આ IPL સિઝનમાં સૌથી વધુ રન બનવવાના મામલે બીજા સ્થાને છે, તેણે આઠ ઇનિંગ્સમાં 44.62 ની એવરેજ અને 234.89ની સ્ટ્રાઇક રેટથી 357 રન બનાવ્યા છે, આ સિઝનમાં તેણે એક સદી અને બે અડધી સદી ફટકારી છે. ઓરેન્જ કેપની રેસમાં પહેલા ક્રમે અભિષેક શર્મા છે, તેણે આઠ મેચમાં 380 રન બનાવ્યા છે, આમ વૈભવ અભિષેક શર્મા માત્ર 23 રન પાછળ છે, ત્યારે વૈભવ આગામી મેચ રમે એ ખુબ જરૂરી છે.