બદ્રીનાથ : રામ મંદિર દાન ચોરી કેસ બાદ પ્રકાશમાં આવેલા ઉત્તરાખંડના બદ્રીનાથ મંદિરના દાનની રકમની હેરાફેરી કેસમાં પોલીસે કાર્યવાહી કરી છે. જેમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બદ્રીનાથ મંદિરના હાલમાં જ નિવૃત થયેલા ભૂતપૂર્વ અધિકારી રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી છે.
સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ચાર કલાક સઘન પૂછપરછ કરી
આ કેસની તપાસ માટે રચવામાં આવેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ચાર કલાકની સઘન પૂછપરછ બાદ શુક્રવારે બપોરે મંદિરના ભૂતપૂર્વ અધિકારી રાજેન્દ્ર ચૌહાણની ધરપકડ કરી હતી. તેમને શનિવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
22 જૂનના રોજ સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી
બદ્રીનાથ મંદિરમાં દાન ચોરીની પોલીસ તપાસમાં 22 જૂનના રોજ સીસીટીવી ફૂટેજમાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી હતી પોલીસ હાલમાં સંડોવાયેલા વ્યક્તિઓને ઓળખવા અને તેમની ભૂમિકા નક્કી કરવા માટે કામ કરી રહી છે. મંદિર પરિસરમાં સ્થાપિત સીસીટીવી કેમેરાના ફૂટેજની સતત તપાસ કરવામાં આવી રહી છે.
રેકોર્ડિંગ્સની વિગતવાર તપાસ
આ અંગે તપાસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, 22 જૂન અને 25 જૂનના રેકોર્ડિંગ્સની વિગતવાર તપાસ કરવામાં આવી છે. ફૂટેજમાં કેટલાક અન્ય વ્યક્તિઓ દ્વારા શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળી છે અને તેમના પર ધ્યાન કેન્દ્રિત કરીને તપાસ આગળ વધી રહી છે.