કીવઃ યુક્રેને સોમવારે રશિયાના નિઝનેકામસ્ક શહેર પર ડ્રોન હુમલો કર્યો હતો. આ હુમલામાં એક બાળક સહિત ૧૩ લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ૪૮ લોકો ઘાયલ થયા હતા. આ જાણકારી તાતારસ્તાન ક્ષેત્રના અધિકારીઓએ આપી હતી.
જો કે અધિકારીઓએ ડ્રોન દ્વારા ક્યા સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા તે અંગે જાણકારી આપી ન હતી. પરંતુ આ શહેર તેલ રિફાઇનિંગનું એક મુખ્ય કેન્દ્ર છે. જ્યાં બે રિફાઇનરીઓ અને એક પેટ્રોકેમિકલ પ્લાન્ટ આવેલા છે.
તાજેતરના મહિનાઓમાં યુક્રેન લગભગ દરરોજ લાંબા અંતરના ડ્રોન વડે રશિયાની તેલ સુવિધાઓને નિશાન બનાવી રહ્યું છે. આ હુમલાઓને લીધે રશિયામાં ઇંધણની અછત સર્જાઇ છે.
યુક્રેનના પ્રમુખ વોલોડિમિર ઝેલેન્સકીના જણાવ્યા મુજબ આ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિનને વાટાઘાટોના મેજ પર લાવવા અને તેમના ચાર વર્ષ કરતાં વધુ સમયથી ચાલી રહેલા આક્રમણને રોકવા માટેનું એક અભિયાન છે.
તાતારસ્તાનના વડા રુસ્તમ મિન્નિખાનોવની પ્રેસ સર્વિસ મુજબ સોમવારે સવારે નિઝનેકામસ્કમાં ઔદ્યોગિક અને નાગરિક સુવિધાઓને નિશાન બનાવીને મોટા પાયે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો.
જો કે યુક્રેનિયન અધિકારીઓએ આ અંગે તાત્કાલિક કોઇ ટિપ્પણી કરી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે નિઝનેકામસ્ક યુક્રેનની સરહદથી લગભગ ૧૨૦૦ કિલોમીટર પૂર્વમાં આવેલું છે.