નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટી (આપ)માંથી રાઘવ ચઢ્ઢા સહિત અન્ય નેતાઓએ પાર્ટીને બાય બાય કહ્યા પછી આમ આદમી પાર્ટીમાંથી અનેક દિગ્ગજ નેતાઓએ પ્રતિક્રિયા આપી છે, ત્યારે પોતાની બેબાક બોલીને કારણે જાણીતા સ્વાતિ માલીવાલની પ્રતિક્રિયા સામે આવી છે.
સ્વાતિ માલીવાલે કહ્યું છે કે, અરવિંદ કેજરીવાલના સંરક્ષણમાં આમ આદમી પાર્ટીમાં વધી રહેલો બેહિસાબી ભ્રષ્ટાચાર, મહિલાઓ પર થતા અત્યાચાર, ગુંડાગર્દી જેવા તત્ત્વો વધી ગયા છે અને પંજાબ સાથે થઈ રહેલી છેત્તરપિંડી અને લૂંટને ધ્યાનમાં લઈને પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે. એક્સ પર પોસ્ટ કરતા તેમણે કહ્યું હતું કે, વર્ષ 2006માં પોતાની નોકરી છોડીને દેશ સેવાનો માર્ગ પસંદ કર્યો હતો. RTI આંદોલન, અન્ના હજારે આંદોલન, આમ આદમી પાર્ટી (આપ)ના ગઠનમાં નિષ્ઠાપૂર્વક ભાગ લીધો હતો.
ઈમાનદારીથી કામ કર્યું
આ તમામ મુદ્દા પર મોટું કામ કરેલું છે. મેં દરેક તબક્કામાં પૂરી ઈમાનદારી અને સમર્પણથી યોગદાન આપ્યું હતું, જે સિદ્ધાંતો, મુલ્યો અને ઈમાનદારીની રાજનીતિના સંકલ્પ સાથે અમે આ સફર શરૂ કરી હતી, આજે મોટા દુઃખ સાથે કહેવું પડી રહ્યું છે કે, અરવિંદ કેજરીવાલ જી અને તેમના ઈશારે સમગ્ર આમ આદમી પાર્ટી એમના આદર્શથી-વિચારધારાથી ભટકી ચૂકી છે. દિલ્હી મહિલા આયોગમાં 8 વર્ષ નિષ્ઠાપૂર્વક કામ કરી મેં દરેક તબક્કામાં ઈમાનદારી સાથે કામ કર્યું છે. મારી સાથે એમના આવાસ પર એમના ઈશારા પર ખોટી રીતે મારપીટ અને અભદ્રતા કરવામાં આવી છે. તેમણે પોતાના ગુંડાને બચાવવા માટે એડી ચોટીનું જોર લગાવી દીધું હતું.
ધમકીઓ આપવામાં આવી હતી
એમને જ મોટા મોટા પદા આપીને સન્માનિત કરી દીધા. મને બરબાદ કરવા ધમકીઓ આપવામાં આવી. દરેક શક્ય એટલા પ્રયાસ કરવામાં આવ્યા. હું આ સમયે સંસદીય સમિતિની બેઠક માટે ઈટાનગર આવી હતી. દિલ્હી આવ્યા બાદ આ વિષય પર વિસ્તારથી વાત કરીશું. દિલ્હીની આમ આદમી પાર્ટીમાં મોટા ભંગાણ પડ્યા બાદ ચર્ચા પંજાબમાં સત્તામાં રહેલી આમ આદમી પાર્ટીની થઈ રહી છે. ખાસ કરીને માન સરકારના રાજમાં પણ ભ્રષ્ટાચારના આક્ષેપોની ચર્ચા જોરશોરથી કરવામાં આવી રહી છે. રાઘવ ચઢ્ઢાના રાજીનામા બાદ આમ આદમી પાર્ટીના જ સાત સાંસદોએ આમ આદમી પાર્ટી છોડી દીધી હતી.