નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર (Delhi-NCR) ના લોકો છેલ્લા ઘણા દિવસોથી જે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, તે રાહ હવે પૂરી થવાને આરે છે. આકાશમાં સતત ઘેરાતા વાદળો, અસહ્ય બફારો અને વચ્ચે-વચ્ચે ફૂંકાતા તેજ પવનો સ્પષ્ટ સંકેત આપી રહ્યા છે કે ચોમાસું રાજધાનીના આંગણે આવી પહોંચ્યું છે. હવામાન વિભાગનો અંદાજ છે કે આજે એટલે કે 2 જુલાઈએ દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શરૂઆત થઈ શકે છે.
દિલ્હી-એનસીઆરના વાતાવરણમાં ગુરુવારે વરસાદ, ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે મોટો ફેરફાર જોવા મળશે. હવામાન વિભાગે 'યલો એલર્ટ' જાહેર કર્યું છે. એવું માનવામાં આવે છે કે આ ચોમાસાના સક્રિય તબક્કાની શરૂઆત હોઈ શકે છે, જેનાથી છેલ્લા ઘણા દિવસોથી પડતા બફારા અને ગરમીથી લોકોને મોટી રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 2 જુલાઈથી 7 જુલાઈ સુધી દિલ્હીમાં સતત વરસાદ પડવાની સંભાવના છે.
હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ છે. બુધવારે જ ચોમાસું ઉત્તર અરબી સમુદ્ર, ગુજરાત, દમણ અને દીવ, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશના ઘણા વિસ્તારો તેમજ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, જમ્મુ-કાશ્મીર, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાં પહોંચી ચૂક્યું છે.
દિલ્હી ક્યારે પહોંચશે ચોમાસું?
હવામાનની આગાહી કરતી એજન્સી 'સ્કાયમેટ વેધર' ના વાઇસ પ્રેસિડેન્ટ (ઉપાધ્યક્ષ) મહેશ પલાવતે માહિતી આપી હતી કે, ચોમાસાની સિસ્ટમ (મોન્સૂન ટ્રફ) પંજાબથી લઈને ઉત્તર બંગાળની ખાડી સુધી ફેલાયેલી છે. ઉત્તર બંગાળની ખાડીમાં ચક્રવાતી પવનોનું ક્ષેત્ર સક્રિય છે, જેના કારણે ત્યાં હવાનું હળવું દબાણ (લો પ્રેશર) સર્જાઈ શકે છે. આ સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધશે અને બિહારથી લઈને ઉત્તર પંજાબ સુધીના વિસ્તારોમાં ભારે વરસાદ લાવશે.
દિલ્હી-એનસીઆરમાં કેટલું રહેશે તાપમાન?
દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે (2 જુલાઇ) તાપમાનમાં ઘટાડો જોવા મળશે. લઘુત્તમ તાપમાન 28 ડિગ્રીની આસપાસ રહેશે, જ્યારે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચવાનો અંદાજ છે. 2 જુલાઇએ સવારે 6 વાગ્યાની આસપાસ તાપમાન 28 ડિગ્રી પર નોંધાયું છે. વરસાદ પડવાની સંભાવના 14 ટકા છે, જ્યારે હવામાં ભેજનું પ્રમાણ 83 ટકા જોવા મળી રહ્યું છે. દિલ્હી-એનસીઆરમાં પવનની ગતિ 6 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.