બોલીવૂડના સુપરસ્ટાર રણવીર સિંહની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ધુરંધર: ધ રિવેન્જ' (ધુરંધર ટુ)ને લઈને ફેન્સમાં જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટ્રેલરની રિલીઝ ડેટમાં વારંવાર થયેલા ફેરફાર બાદ હવે આખરે નવી તારીખ અને સમય જાહેર કરવામાં આવ્યા છે, જેનાથી ફેન્સમાં ખુશી અને ઉત્તેજના બંને વધી ગયા છે.
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી 'ધુરંધર'ના પ્રથમ ભાગે બોક્સ ઓફિસ પર 'જવાન' અને 'પઠાન' જેવી ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા હતા. હવે તેનો બીજો ભાગ 19મી માર્ચના રોજ થિયેટર્સમાં રીલિઝ થવા માટે તૈયાર છે અને આજે એટલે કે છઠ્ઠી માર્ચના રોજ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાનું હતું, પરંતુ ટેકનિકલ કારણોસર ટ્રેલર રીલિઝ પોસ્ટપોન કરવામાં આવ્યું હતું. હવે ફિલ્મના હીરો રણવીર સિંહે ઈન્સ્ટાગ્રામ પર કન્ફર્મ કર્યું છે કે ટ્રેલર સાતમી માર્ચ, 2026ના સવારે 11 વાગ્યે રીલિઝ કરવામાં આવશે.
રણવીર સિંહની આ પોસ્ટ બાદ ફિલ્મના ટીઝરમાં મેકર્સ દ્વારા જૂના ફૂટેજનો ઉપયોગ કરવામાં આવતા ફેન્સ થોડા નારાજ થયા હતા. સોશિયલ મીડિયા પર યુઝર્સ મેકર્સને વિનંતી કરી રહ્યા છે કે ટ્રેલરમાં કંઈક નવું અને દમદાર જોવા મળે. એક યુઝરે તો ત્યાં સુધી લખ્યું કે, "હું મારા હનીમૂન કરતાં પણ વધુ 'ધુરંધર ૨' માટે એક્સાઈટેડ છું!"
અત્રે ઉલ્લેખનીય છે કે બોક્સ ઓફિસ પર 'ધુરંધર ટુ' પાંચ ભાષાઓમાં (હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમ) પેન ઈન્ડિયા રિલીઝ થશે. જોકે, સાઉથ સુપરસ્ટાર યશની ફિલ્મ 'ટોક્સિક' મિડલ ઈસ્ટ સંકટને કારણે હવે ચોથી જૂન સુધી લંબાઈ ગઈ છે, જે રણવીરની ફિલ્મ ધુરંધર ટુ માટે ખરેખર રાહતના સમાચાર છે.
બોક્સ ઓફિસ પર ફિલ્મ ધુરંધર ટુ સાથે ટોક્સિકનો ક્લેશન તો નહીં જોવા મળે પણ આ જ દિવસે પવન કલ્યાણની 'ઉસ્તાદ ભગત સિંહ' અને અદિવિ શેષ-મૃણાલ ઠાકુરની 'ડકૈત: અ લવ સ્ટોરી' સાથેનું ક્લેશ દર્શકોને જોવા મળી શકે છે. જોકે 'ધુરંધર ટુ'ના ક્રેઝ સામે આ બંને ફિલ્મોને કારણે ધુરંધર ટુને કોઈ મોટું નુકસાન થવાની સંભાવના ઓછી છે.
વાત કરીએ ફિલ્મ ધુરંધર ટુની સ્ટારકાસ્ટ વિશે તો આ ફિલ્મમાં રણવીર સિંહની સાથે અર્જુન રામપાલ, આર. માધવન અને સંજય દત્ત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. એવી ચર્ચા પણ થઈ રહી છે કે ફિલ્મના પહેલાં ભાગમાં મૃત્યુ પામેલાં અક્ષય ખન્નાનું પાત્ર પણ આ સિકવલમાં કેટલાક મહત્વના સીન્સમાં જોવા મળી શકે છે.