Thu May 07 2026

Logo

પંજાબના ક્રિકેટરનું 36 વર્ષની વયે નિધન, વિરાટ કોહલીએ પાઠવી ભાવુક શ્રદ્ધાંજલિ

2026-05-07 15:58:00
Author: Savan Zalariya
Article Image

ચંદીગઢ: પંજાબના ભૂતપૂર્વ ક્રિકેટર અમનપ્રીત સિંહ ગિલનું 36 વર્ષની વયે અવસાન થતા ક્રિકેટ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. ભારતના દિગ્ગજ બેટર વિરાટ કોહલીએ અમનપ્રીત સિંહ ગિલને શ્રદ્ધાંજલિ પાઠવી છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં વિરાટે જણાવ્યું કે અમનપ્રીતના અવસાનથી તે આઘાતમાં છે.

ભારતની અંડર-19 ટીમમાં શરૂઆતના દિવસોમાં અમનપ્રીત સિંહ ગિલ વિરાટ કોહલી સાથે રમતો હતો. X પર એક પોસ્ટ કરીને વિરાટે અમનપ્રીત ગિલના અકાળ અવસાન પર આઘાત અને શોક વ્યક્ત કર્યો.

કોહલીએ X પર લખ્યું, "અમનપ્રીત ગિલના નિધન વિશે સાંભળીને આઘાત અને દુઃખ થયું. તેમના પરિવાર અને પ્રિયજનોને માટે પ્રાર્થના. રેસ્ટ ઇન પીસ. ઓમ શાંતિ." 

 

પંજાબ ક્રિકેટ એસોસિએશને પણ ગિલના અવસાન પર શોક વ્યક્ત કર્યો છે. ભારતીય ટીમના દિગ્ગજ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ગિલને શ્રદ્ધાંજલિ પાઠવી. ભારતીય ટીમના ભૂતપૂર્વ ઓપનર  શિખર ધવને પણ શોક વ્યક્ત કર્યો.

અમનપ્રીત ગિલની ટૂંકી કારકિર્દી:
અમનપ્રીત ગિલનો જન્મ 16 સપ્ટેમ્બર, 1989 ના રોજ ચંદીગઢમાં થયો હતો. તે રાઈટ હેન્ડ મીડીયમ-ફાસ્ટ બોલર હતો, તે રાઈટ હેડ બેટર હતો. તેણે ડોમેસ્ટિક ક્રિકેટ અને IPLમાં બોલર તરીકે ભાગ લીધો હતો. તેણે ભારની અંડર-19 ક્રિકેટ ટીમ તરફથી રમ્યો હતો. કિંગ્સ XI પંજાબ (હવે પંજાબ કિંગ્સ) એ તેને IPLમાં તેની પ્રતિભા દર્શાવવાની તક આપી હતી. જોકે, તે અપેક્ષા મુજબ પ્રદર્શન કરી શક્યો નહીં, ટૂંક સમયમાં જ તેને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો.

અમનપ્રીતે ડોમેસ્ટિક ક્રિકેટમાં કુલ છ ફર્સ્ટ-ક્લાસ મેચ રમી, જેમાં 10 ઇનિંગ્સમાં 11 વિકેટ લીધી. એક ઇનિંગ્સમાં તેનું બેસ્ટ બોલિંગ પ્રદર્શન 72 રનમાં ચાર વિકેટ હતું. બેટિંગની વાત કરીએ તો, તે સાત ઇનિંગ્સમાં 8.40 ની સરેરાશથી 42 રન બનાવ્યા હતાં.