નવી દિલ્હી : મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે પીએમ મોદીએ મોટું નિવેદન આપ્યું છે. પીએમ મોદીએ દિલ્હીમાં દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ લી જે-મ્યુંગ સાથેની મુલાકાત બાદ જણાવ્યું હતું કે ભારત અને કોરિયા વિશ્વ શાંતિનો સંદેશ આપી રહ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને દક્ષિણ કોરિયા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની યોજનાઓની પણ જાહેરાત કરી હતી.
આ પહેલ આ ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવશે
પીએમ મોદીએ એ મુદ્દે પણ આનંદ વ્યક્ત કર્યો કે દક્ષિણ કોરિયા આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ અને ઇન્ડો-પેસિફિક મહાસાગર પહેલમાં જોડાઈ રહ્યું છે. આ પહેલ આ ક્ષેત્રમાં સહયોગને વધુ મજબૂત બનાવશે. તેમણે કહ્યું કે બંને દેશો શાંતિપૂર્ણ, પ્રગતિશીલ અને સમાવિષ્ટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના નિર્માણ માટે સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો કે વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારા જરૂરી છે.
કવિ રવિન્દ્રનાથ ટાગોરે કોરિયાને પૂર્વના દીવા તરીકે ઓળખાવ્યો હતો
પીએમ મોદી કવિ રવિન્દ્રનાથ ટાગોરનો ઉલ્લેખ કરીને જણાવ્યું કે તેમણે દક્ષિણ કોરિયાને પૂર્વના દીવા તરીકે ઓળખાવ્યો હતો. જ્યારે આજે કોરિયા વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત માટેના સંકલ્પને સાકાર કરવામાં મુખ્ય ભાગીદાર તરીકે ઊભું છે.