ઓમાનઃ મધ્ય પૂર્વમાં યુએસ-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા તણાવ વચ્ચે ઓમાન ખાડીમાં ડ્રોન હુમલામાં એક ભારતીય ક્રૂ સભ્યનું મોત થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. માર્શલ આઇલેન્ડ્સના ઝંડા હેઠળ ચાલતું તેલ ટેન્કર MKD VYOM પર મંગળવારે મસ્કત દરિયાકાંઠથી 52 નોટિકલ માઇલ દૂર બોમ્બથી લાદેલા ડ્રોન બોટે હુમલો કર્યો હતો. જેમાં એક ભારતીયનું મોત થયું છે. ઈરાન-ઇઝરાયલના યુદ્ધ વચ્ચે આ આ પ્રથમ ભારતીય હત્યા છે. જેના કારણે ચિંતાઓ વધી છે.
મસ્કતના દરિયાકાંઠેથી 52 નોટિકલ માઇલ દૂર હુમલો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ હુમલો મસ્કતના દરિયાકાંઠે થયો હતો. જહાજમાં આગ લાગી હતી અને એન્જિન રૂમમાં વિસ્ફોટ થયો હતો. જહાજમાં 16 ભારતીયો સહિત 21 ક્રૂ સભ્યો હતા. બાકીનાને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે, પરંતુ એક ભારતીયનું મોત થયું છે. આ હુમલો હોર્મુઝ સ્ટ્રેટ નજીક થયો હતો, જે પર્સિયન ગલ્ફમાં એક સાંકડી ચેનલ છે જે વૈશ્વિક તેલ વેપાર માટે મહત્વપૂર્ણ છે.
ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પાસે આવતા જહાજોને ધમકી આપી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે તણાવ સતત વધી રહ્યો છે. ઇઝરાયલ અને અમેરિકાએ તાજેતરમાં જ ઇરાન સામે મોટા પાયે હવાઈ હુમલા શરૂ કર્યા હતા, જેના કારણે ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પાસે આવતા જહાજોને ધમકી આપી હતી. તો શું આ હુમલો ઈરાને આપેલી ધમકીના ભાગેરૂપે જ કરવામાં આવ્યો છે? આ હુમલાઓના કારણે આ દેશોમાં રહેતા ભારતીય મોટે સતત ચિંતા વધી રહી છે, તે ભારતીયોની સુરક્ષા માટે ભારતીય વિદેશ મંત્રાયલ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યાં છે.
વર્તમાન સ્થિતિને જોતા તણાવ વધારે વધ્યો
અમેરિકા અને ઇઝરાયલ પર ઈરાન દ્વારા અનેક હુમલાઓ કરવામાં આવ્યાં છે. જેમાં ખાસ કરીને ડ્રોન અને મિસાઈલો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. જો કે, આ હુમલા અંગે હજી કોઈ દ્વારા જવાબદારી લેવામાં આવી નથી. આ વિસ્તારમાં પહેલા પણ જહાજો પર હુમલાઓ થયેલા છે, પરંતુ વર્તમાન સ્થિતિને જોતા તણાવ વધારે વધ્યો છે. અમેરિકા-ઈરાન સંઘર્ષમાં ભારતીયનું મોત એ ભારતને માટે મોટું નુકસાન સાબિત થઈ શકે છે.