Thu Jun 11 2026

Logo

કેરલમમાં નિપાહ વાઇરસનો નોંધાયો કેસ: વહીવટીતંત્ર એલર્ટ, 77 લોકો ક્વોરન્ટાઇન

2026-06-11 21:19:42
Author: Mumbai Samachar Team
Article Image

કોઝિકોડ (કેરલમ): કેરલમના કોઝિકોડ જિલ્લામાં નિપાહ વાઇરસનો એક નોંધાયો હતો જેના કારણે વહીવટીતંત્રે આજે અસરકારક પગલા લેવાની શરૂઆત કરી હતી. કોઝિકોડ જિલ્લા કલેક્ટર એમ.એસ. માધવીકુટ્ટીએ જણાવ્યું હતું કે રમનાટ્ટુકારાના 43 વર્ષીય વ્યક્તિને નિપાહ વાઇરસનો ચેપ લાગ્યાની પુષ્ટી થઈ છે. એક સરકારની નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે દર્દી કોઝિકોડ મેડિકલ કોલેજ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર હેઠળ છે. 

કલેક્ટરના જણાવ્યા મુજબ ચેપગ્રસ્ત વ્યક્તિના સંપર્કમાં આવેલા 77 લોકોની ઓળખ કરવામાં આવી છે, તેમાં 58 આરોગ્યસંભાળ કાર્યકરો, 14 પરિવારના સભ્યો અને પાંચ મિત્રો અને સહકાર્યકરો સામેલ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિમાં કોઈ લક્ષણો જોવા મળ્યા નથી.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સૌથી વધુ જોખમ રહેલા બધાને ક્વોરન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. કલેક્ટરે જણાવ્યું હતું કે દર્દીનો રૂટ મેપ પણ તૈયાર કરવામાં આવ્યો છે. નિયંત્રણ અને દેખરેખ પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે. તૈયારીના ભાગ રૂપે બુધવાર અને ગુરુવારે રમનાટ્ટુકારા નગરપાલિકામાં રેપિડ રિસ્પોન્સ ટીમની બેઠકો યોજાઈ હતી."

કલેક્ટરે જણાવ્યું હતું કે પીપીઈ કીટ, ગ્લોવ્સ અને માસ્ક સહિતના પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે અને સાવચેતીના પગલા તરીકે દવાઓની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા પગલાં લેવાનું શરૂ કરવામાં આવ્યું છે. 

આ રોગ અંગે માહિતી પૂરી પાડવા અને જાહેર પ્રશ્નોના જવાબ આપવા માટે જિલ્લા તબીબી કાર્યાલયમાં એક કંન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. કેરલમ આરોગ્ય સેવાની વેબસાઇટ પરના એક દસ્તાવેજમાં જણાવાયું છે કે નિપાહ વાયરસ એક ઝૂનોટિક વાયરસ છે જે પ્રાણીઓ અને માણસો વચ્ચે ફેલાઈ શકે છે.