મુંબઈ: ચોમાસા દરમિયાન મુંબઈમાં 257થી વધુ જગ્યાએ ભેખડ ધસી પડવાનું જોખમ હોવા છતાં ત્યાં 22,483 પરિવાર રહેવા મજબૂર હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે. આ અંગે રાજ્ય સરકારને જાણકારી હોવા છતાં સુરક્ષાનાં પૂરતાં પગલાં લેવામાં આવતાં ન હોવાનું કહેવાય છે.
માહિતી અધિકાર હેઠળ મળતી વિગતો અનુસાર મુંબઈમાં છેલ્લાં 34 વર્ષમાં ભૂસ્ખલનની દુર્ઘટનામાં 340 જણે જીવ ગુમાવ્યા હતા, જ્યારે 300થી વધુ જખમી થયા હતા. મુંબઈના 36માંથી પચીસ મતદાર સંઘમાં 257 ઠેકાણે ડુંગરાળ વિસ્તાર જોખમી તરીકે ઓળખવામાં આવ્યા છે. આ ભાગમાં 22,483 પરિવાર વસે છે, જેમાંથી 9,657 ઝૂંપડાંના રહેવાસીઓનું તાત્કાલિક સ્થળાંતર જરૂરી છે. તેમને સુરક્ષિત સ્થળે ખસેડવાની ભલામણ પણ સરકારને કરવામાં આવી હતી.
જે પરિવારોનું સ્થળાંતર જરૂરી નથી તેમના ઘર આસપાસ સુરક્ષા દીવાલ ચણવાની પણ ભલામણ કરવામાં આવી હતી. 2010માં સર્વસમાવેશક સર્વેક્ષણ કરનારા મુંબઈ ઝૂંપડપટ્ટી સુધાર મંડળે કરેલી ભલામણો પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હોત તો ડુંગરાળ પરિસરમાં રહેતા લોકોના જીવ ઘાટકોપરની ઘટનાની જેમ જોખમમાં ન મુકાયા હોત, એવી ચર્ચા ચાલી રહી છે.