આઈપીએલ-2026 ચાલી રહી છે અને ચેન્નઈ સુપર કિંગ્સના ફેન્સ એમ એસ ધોની એટલે કે થાલાના ફેન્સ તેને ફરી મેદાન પર જોવા માટે આતુર છે, પરંતુ ઈજાને કારણે થાલા કેટલીક મેચો રમી શક્યા નથી. આવી સ્થિતમાં સવાલ થાય એ સ્વાભાવિક છે કે શું આની થાલાની મેચ ફી કે સેલરી પર કોઈ અસર જોવા મળશે? જો તમને પણ આ સવાલ સતાવી રહ્યો હોય તો આ સ્ટોરીમાં આજે અમે તમને આ વિશે જણાવીશું...
મહેન્દ્ર સિંહ ધોની એટલે કે થાલા આઈપીએલ 2026ની શરૂઆતની મેચોમાં ઈજાના કારણે રમી ન શક્યો હોય, પરંતુ એના કારણે તેની સેલરી એટલે કે મેચ ફી પર કોઈ ખાસ અસર જોવા મળશે નહીં. આઈપીએલના નિયમો ખેલાડીઓની આર્થિક સુરક્ષાને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યા છે.
ઈજાના કારણે બહાર રહેવા છતાં ધોનીની ફિક્સ સેલરી સુરક્ષિત છે, પરંતુ 'મેચ ફી' ના મામલે ગણિત થોડું અલગ છે. ચેન્નઈ સુપર કિંગ્સે ધોનીને 'અનકેપ્ડ પ્લેયર' તરીકે ચાર કરોડ રૂપિયામાં રિટેન કર્યો છે. આઈપીએલના નિયમો અનુસાર, જો કોઈ ખેલાડી ટીમનો હિસ્સો હોય અને ટૂર્નામેન્ટ દરમિયાન ઈજાગ્રસ્ત થાય, તો તેને તેની પૂરેપૂરી કોન્ટ્રાક્ટ રકમ એટલે કે બેઝ સેલરી આપવામાં આવે છે.
આઈપીએલ 2026થી ખેલાડીઓ માટે દર મેચ દીઠ 7.5 લાખ રૂપિયા વધારાની મેચ ફી નક્કી કરવામાં આવી છે. જોકે, આ ફી ત્યારે જ મળે છે જ્યારે ખેલાડી પ્લેઈંગ ઈલેવનમાં હોય અથવા 'ઈમ્પેક્ટ પ્લેયર' તરીકે મેદાનમાં ઉતરે. ધોની હજુ સુધી એક પણ મેચ રમ્યા નથી, તેથી તેને આ વધારાની મેચ ફી મળશે નહીં.
આ ઉપરાંત દરેક ખેલાડીઓનો ઈન્શ્યોરન્સ હોવાને કારણે, જો તેઓ ઈજાને લીધે ન રમી શકે તો ફ્રેન્ચાઈઝીને તેની ભરપાઈ ઈન્શ્યોરન્સ કંપની તરફથી મળી જતી હોય છે. આનાથી ટીમ અને ખેલાડી બંને આર્થિક રીતે સુરક્ષિત રહે છે.