તહેરાનઃ ઈરાન-ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર મિડલઈસ્ટની સ્થિતિ હવે સંવેદનશીલ બની રહી છે. ઈરાન યુદ્ધ દરમિયાન કતારમાં એક મિલિટરી હેલિકોપ્ટર ક્રેશ થઈ ચૂક્યું છે. રિપોર્ટ અનુસાર આ ઘટનામાં કુલ 6 વ્યક્તિના મૃત્યુ થયા છે. મૃત્યુ પામેલા વ્યક્તિઓમાં સૈન્યકર્મીઓ હતા કે સામાન્ય નાગરિકો એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ અંગેની તપાસ હજુ ચાલું છે.
કતાર સરકારે સ્પષ્ટતા કરી
આ ઘટનાને લઈને કતાર સરકારે એવી સ્પષ્ટતા કરી છે કે, આ ઘટનામાં કુલ છ વ્યક્તિના મૃત્યુ થયા છે. આ ઘટના પર્શિયન ખાડીના સમુદ્ર કિનારાના વિસ્તાર નજીક બની હોવાની જાણકારી મળી છે. સરકારનું એવું કહેવું છે કે, આ ઘટનામાં હજુ એક વ્યક્તિ લાપતા છે. રક્ષામંત્રાલયે આ ઘટનામાં કોઈ ટેકનિકલ ખામી હોવાની વાત કરી છે. આ હેલકોપ્ટર પોતાની રુટિન ડ્યૂટી પર હતુ એ દરમિયાન આ ઘટના બની હતી. જે વ્યક્તિઓ આ ઘટનામાં મૃત્યું પામ્યા છે એમની રાષ્ટ્રીયતા નક્કી થઈ નથી. રાહતકાર્ય યુદ્ધના ધોરણે ચાલું કરી દેવામાં આવ્યું છે. જે વ્યક્તિ લાપતા થયો છે એની તપાસ ચાલું કરી દેવામાં આવી છે. ઈન્ટરનલ સિક્યોરિટીની ટીમ રાહત કાર્યમાં લાગી ચૂકી છે.
કતારનું જ હેલિકોપ્ટર હતુ
આ હેલિકોપ્ટર કતારનું હતું, જ્યારે તે પોતાના રૂટિન અનુસાર ફ્લાય કરી રહ્યું હતું એ સમયે આ ઘટના બની હતી. ટેકનિકલ ખામી સર્જાતા આ પ્રકારની ઘટના બની હોવાનું પ્રાથમિક રિપોર્ટમાંથી જાણવા મળે છે. હેલિકોપ્ટર ક્રેશ થતા સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવગ્રસ્ત સ્થિતિમાં વધારો થયો છે. ઈરાન સતત અમેરિકી બેઝકેમ્પ પર હુમલા કરી રહ્યો છે. એવામાં આશંકા એવી છે કે, આ હેલિકોપ્ટર ઈરાને કરેલા હુમલાનો શિકાર તો નથી ને? ઈરાને વળતો જવાબ દેવાનું શરૂ કરી દેતા અનેક દેશ એલર્ટ થઈ ચૂક્યા છે. ખાસ કરીને અખાતી દેશમાં દરેક નાનામાં નાની મૂવમેન્ટ પર નજર રાખવામાં આવી રહી છે. કતાર સરકારના અધિકારીઓએ એ વાત સ્પષ્ટ કરી હતી કે, આ ક્રેશ ઘટનામાં કોઈ દુશ્મન દેશનો હાથ નથી.
તાત્કાલિક ધોરણે તપાસ શરૂ
આ ઘટના બાદ તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. ઘટના સ્થળે ટીમ મોકલીને તપાસ કરવામાં આવી છે. આ ઘટનાને કારણે ગેસ સંચાલન કે ક્રૂડ ઓઈલના સપ્લાય પર કોઈ માઠી અસર થવાના હાલ તો કોઈ એંધાણ નથી. નિષ્ણાંતો એવું માની રહ્યા છે કે, આ ઘટનાથી અખાતી દેશમાં અસ્થિરતા વધી શકે છે, જોકે કોઈ ગંભીર અસર ઊભી થાય એવા કોઈ પ્રકારના અણસાર હાલ તો દેખાતા નથી.