Wed Jul 22 2026

Logo

કચ્છ પ્રવાસનનો નવો અધ્યાય: વ્હાઇટ ડેઝર્ટ ઉપરાંત હવે ચાર નવા વન્યજીવ જાગૃતિ કેન્દ્રો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે

2026-07-22 18:09:56
Author: Pooja Shah
Article Image

ભુજઃ ભારતનો બીજા નમ્બરનો સૌથી મોટો જિલ્લો અને 'રણ ઉત્સવ' તેમજ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ 'ધોળાવીરા' માટે વિશ્વભરમાં પ્રખ્યાત ભાતીગળ કચ્છ હવે પ્રવાસીઓને માત્ર સફેદ રણ જ નહીં, પરંતુ તેનાથી પણ ઘણું વધુ પૂરું પાડવા માટે તૈયાર થઈ રહ્યું છે. ગુજરાતના સૌથી મોટા પ્રવાસન સ્થળોમાંથી એક એવા કચ્છમાં ઇકો-ટુરિઝમને પ્રોત્સાહન આપવા અને નવો આયામ ઉમેરવાના હેતુથી સમગ્ર જિલ્લામાં ચાર નવા વન્યજીવ જાગૃતિ  કેન્દ્રો વિકસાવવામાં આવી રહ્યા છે.

​રાજ્યના વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા આ પ્રકલ્પનો મુખ્ય ઉદ્દેશ્ય ઇકો-ટુરિઝમ વધારવાની સાથે સાથે પ્રવાસીઓને કચ્છની અનોખી જૈવવિવિધતા, વન્યજીવન, ભૂસ્તરશાસ્ત્ર અને સાંસ્કૃતિક વારસા વિશે માહિતગાર કરવાનો છે. આ ચાર નવા કેન્દ્રો રોડ ટુ હેવન નજીક આવેલા ત્રાગડી બેટ, કાળો ડુંગર, માતાના મઢ નજીક આવેલા એકલ અને ધોળાવીરા ખાતે તૈયાર કરવામાં આવી રહ્યા છે.

દરેક કેન્દ્રની ડિઝાઇન જે-તે સ્થળના ભૌગોલિક, ઐતિહાસિક અને ઈકોલોજીકલ મહત્વને ધ્યાનમાં રાખીને ચોક્કસ થીમ પર આધારિત બનાવવામાં આવી છે. હાલમાં આ કેન્દ્રોનું નિર્માણ કાર્ય આખરી તબક્કામાં છે અને ઓક્ટોબર માસથી શરૂ થતી આગામી પ્રવાસન મોસમ અગાઉ તેનું લોકાર્પણ કરી દેવામાં આવે તેવી શક્યતા છે.

​આ તમામ સુવિધાઓમાં પ્રવાસીઓને કચ્છના સમૃદ્ધ કુદરતી વારસાને સરળતાથી સમજાવવા માટે ઇન્ટરેક્ટિવ ડિસ્પ્લે પેનલ, ડિજિટલ સ્ક્રીન, કિયોસ્ક, ભીંતચિત્રો અને શૈક્ષણિક પ્રદર્શનો ગોઠવવામાં આવશે. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેન્દ્રોમાં સ્વયં-સ્પષ્ટ ડિજિટલ સ્ક્રીન દ્વારા મુલાકાતીઓને રણની શિયાળ (ડેઝર્ટ ફોક્સ), ઘોડખર (ઇન્ડિયન વાઇલ્ડ એસ), વરુ, અત્યંત દુર્લભ એવા ખડમોર તથા અનેક પ્રવાસી પક્ષીઓની પ્રજાતિઓ વિશે જાણકારી આપવામાં આવશે. આ ઉપરાંત કચ્છના રણની નિવસનતંત્ર (ડેઝર્ટ ઇકોસિસ્ટમ) અને કુદરતી વારસા અંગેની વિસ્તૃત માહિતી પણ પ્રદર્શિત કરાશે.

​કચ્છના ઉચ્ચ અધિકારીએ વાત કરતા જણાવ્યું હતું કે કચ્છ પાસે રણ, દરિયાકિનારા, ઘાસના મેદાનો, પહાડોથી લઈને અનોખા વન્યજીવ આશ્રયસ્થાનો સુધીની વિપુલ ઇકોલોજીકલ વૈવિધ્યતા છે. આ દેશનું સૌથી મોટું વન્યજીવ અભયારણ્ય અને સૌથી મોટા ઘાસના મેદાનો પૈકીનો એક વિસ્તાર છે. આ જાગૃતિ કેન્દ્રો દ્વારા પ્રવાસીઓ આ અસાધારણ જૈવવિવિધતા વિશે નજીકથી જાણી શકશે." ઇકો-ટુરિઝમને પ્રોત્સાહિત કરવાનો મુખ્ય આશય એ છે કે મુલાકાતીઓ અહીંથી પરત ફરે ત્યારે વન્યજીવ સંરક્ષણ અને પ્રદેશના કુદરતી વારસા પ્રત્યે વધુ આદર અને જાગૃતિ લઈને જાય તેમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.