અજય મોતીવાલા
મુંબઈઃ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) પીઠની ઈજાને કારણે મુંબઈ ઇન્ડિયન્સ (MI)ની છેલ્લી બે મૅચ નથી રમ્યો એ તો ઠીક, પણ જોત જોતામાં તેની ગેરહાજરીમાં એમઆઇની ટીમ આઇપીએલની 19મી સીઝનના નૉકઆઉટ રાઉન્ડની રેસની બહાર થઈ ગઈ એટલે એમઆઇના ચાહકોના આઘાતનો કોઈ પાર નથી અને કૅપ્ટનપદે હાર્દિક પસંદ ન કરતા કેટલાક લોકોમાં એવી ચર્ચા સાંભળવા મળી છે કે (ટીમ મૅનેજમેન્ટમાં કદાચ બધુ ઠીકઠાક નથી એટલે) ચૂપકીદીથી હાર્દિક પોતે જ એમઆઇથી દૂર થઈ રહ્યો હોય એવું લાગે છે.
રવિવારે રાયપુરમાં બેંગ્લૂરુ સામેની રસાકસીવાળી મૅચમાં એમઆઇની આઘાતજનક હાર બાદ એમઆઇના હેડ-કોચ માહેલા જયવર્દનેએ હાર્દિક વિશેના એક પત્રકારના સવાલના જવાબમાં કહ્યું, `હાર્દિકને પીઠમાં જે દુખાવો છે એની અમારી મેડિકલ ટીમ પાસે સારવાર ચાલી રહી છે. આ ઈજાને કારણે તે થોડા દિવસથી પ્રૅક્ટિસ નથી કરી શક્યો. એકાદ-બે દિવસમાં અમે નિર્ણય લઈશું.'
એક ચર્ચા એવી છે કે હાર્દિક આવતી સીઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)માં જોડાવા માગે છે. જોકે આ અટકળને તો શું, હાર્દિક એમઆઇથી દૂર થઈ રહ્યો છે એ વાતને પણ પુષ્ટિ નથી મળી. હમણાં તો સોશ્યલ મીડિયામાં અને એમઆઇના ફૅન્સમાં અટકળો જ ચાલી રહી છે.
ચિંતાની વાત એ છે કે હાર્દિકની પીઠની સમસ્યા જો ગંભીર છે તો પછી આઇપીએલ પછી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ તે રમી શકશે કેમ એમાં શંકા છે. બીજું, તેની ફિટનેસની સમસ્યા જોતાં આવતી આઇપીએલમાં કઈ ટીમ તેને ખરીદવા ઉત્સાહભેર આગળ આવશે એ પણ એક પ્રશ્ન છે.