Fri May 01 2026

Logo

ગુજરાત સરકારનો જમીન મહેસૂલ ક્ષેત્રે મોટો નિર્ણય, મિલકત સોદામાં ખોટા વાંધા વચકામાંથી મુક્તિ મળશે

2026-04-01 17:18:22
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાત સરકારે જમીન મહેસૂલ ક્ષેત્રે મોટો નિર્ણય લીધો છે. આ અંગે માહિતી આપતા રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, મહેસૂલી સરળીકરણ માટે  " જમીન મહેસૂલ અધિનિયમ-1879" ની  કલમ 135-Dની જોગવાઈમાં મહત્વપૂર્ણ સુધારા કરવામાં આવ્યા છે. આ સુધારાથી હવે કાયદેસરના જમીન અથવા મિલકતના વ્યવહારોમાં નાગરિકોને 30 દિવસની નોટિસના સમયગાળાની રાહ જોવામાંથી મુક્તિ મળશે.

135-D ની 30 દિવસની નોટિસની અનિવાર્યતામાંથી મુક્તિ
મંત્રીએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી જમીન કે મિલકતના વેચાણ વ્યવહારોમાં 30 દિવસની ફરજિયાત નોટિસના કારણે સામાન્ય જનતાએ લાંબી રાહ જોવી પડતી હતી. આ સમયગાળાનો લાભ લઈને કેટલાક અસામાજિક તત્વો ખોટા વાંધા-વચકા ઉઠાવીને વેચનાર કે ખરીદનાર પાસેથી નાણાં પડાવવાનું (બ્લેકમેલિંગ) કામ કરતા હતા. આ જટિલતાને સમજીને ખેડૂતો અને મધ્યમ વર્ગના હિતમાં 135 -Dની 30  દિવસની નોટિસની અનિવાર્યતામાંથી મુક્તિ આપવાનો સાહસિક નિર્ણય લીધો છે.

હુકમોની નોંધ વખતે પણ હવે 135 - Dની નોટીસ બજવવાની રહેશે નહીં
 મંત્રીએ કહ્યું હતું કે, નવા સુધારા પ્રમાણે, રેકોર્ડ પર જમીનમાં છેલ્લા એક વર્ષ કે તેથી વધુ સમયથી કોઈ ફેરફાર નોંધ ન હોય, જમીન પર કોઈ લિટીગેશન કે દાવો પડતર ન હોય અને શાંત કબજો હોય તેમજ 7 /12 ના રેકોર્ડ પર દેખાતા તમામ હકદારોએ વેચાણ દસ્તાવેજમાં સહી કરી હોય તેવા વ્યવહારોમાં 135 -Dની નોટીસ વગર, તે જ દિવસે વેચાણ દસ્તાવેજની નોંધ પાડવામાં આવશે. આવા કિસ્સાઓમાં ૧૩૫Dની નોટિસ બજવવાની પ્રક્રિયા સિવાય સીધી નોંધનો નિર્ણય લેવામાં આવશે અને વેચાણની નોંધ તુરંત પ્રમાણિત કરીને 'પાકી એન્ટ્રી' કરવામાં આવશે

નોટિસનો સમયગાળો 30  દિવસથી ઘટાડીને માત્ર 7  દિવસ કરવામાં આવ્યો 
 જો એક વર્ષની અંદર રેકોર્ડમાં કોઈ ફેરફાર થયો હોય, વેચાણ પાવર ઓફ એટર્ની (PoA) દ્વારા કરવામાં આવ્યું હોય, 7/12 માં દેખાતા તમામ વ્યક્તિઓની દસ્તાવેજમાં સહી ન હોય અથવા કોઈ કેસ પેન્ડિંગ હોય તેવા તપાસની જરૂરિયાતવાળા કિસ્સામાં નોટિસનો સમયગાળો 30  દિવસથી ઘટાડીને માત્ર 7  દિવસ કરવામાં આવ્યો છે. આ ૭ દિવસમાં સાચા હકદારો પોતાના આધાર-પુરાવા રજૂ કરી શકશે, જેથી કોઈને અન્યાય ન થાય. આ સુધારાઓથી રાજ્યના ખેડૂતો, મિલકત ખરીદનારાઓ અને સામાન્ય જનતાને બિનજરૂરી કાયદાકીય ગૂંચવણ અને વિલંબમાંથી કાયમી મુક્તિ મળશે. સાથે જ, સીધી લીટીના વારસદારો વચ્ચે થતી તબદીલીમાં પણ હવે બિનજરૂરી હેરાનગતિ બંધ થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

અંદાજે 50,000  જેટલા કેસો ઝડપથી ઉકેલાશે 
 મંત્રીએ જણાવ્યું હતું કે, આ સુધારો માત્ર ખેતીની જમીન માટે જ નહીં, પરંતુ દુકાન, ફ્લેટ અને રહેણાંકના મકાનો લેતી સામાન્ય જનતા માટે પણ આશીર્વાદરૂપ છે. સીધી લીટીના વારસદારોના વ્યવહારોમાં પણ હવે સરળતા રહેશે. રેવન્યુ કોર્ટમાં મામલતદારથી લઈને SSRD સુધી ચાલતા રાજ્યના અંદાજે 50,000  જેટલા કેસો, જે માત્ર 135 -Dના વાંધાને લીધે વિલંબમાં હતા. તેનો ઝડપથી નિકાલ આવશે અને સૌથી મહત્વપૂર્ણ મિલકતના ભાવ વધતા કેટલાક લોકો જૂના બાનાખત-કાચી ચિઠ્ઠીના આધારે ખોટા વાંધા ઉઠાવીને રકમ પડાવતા હતા તે બ્લેકમેલિંગ પણ હવે બંધ થશે. પરિણામે ખરીદનાર અને વેચનાર હવે કોઈપણ ડર વગર નિર્ભય થઈને વ્યવહાર કરી શકશે.