નવી દિલ્હીઃ તાજેતરમાં ટીમ ઇન્ડિયા ટી-20 વર્લ્ડ કપમાં ચૅમ્પિયન બન્યા બાદ ભારતીય ટીમનો હેડ-કોચ ગૌતમ ગંભીર (Gautam Gambhir) હાલમાં ફુરસદમાં છે અને હમણાં તો આઇપીએલની 19મી સીઝન ચાલી રહી છે એટલે તે પરિવાર સાથે લાંબુ વેકેશન માણી રહ્યો છે, પરંતુ તેની સાથેના ભૂતકાળના અનુભવને વાગોળીને ભૂતપૂર્વ ભારતીય પેસ બોલર અતુલ વાસને (Atul Wasan) ચોંકાવનારા નિવેદનો કર્યા છે. 2024માં રાહુલ દ્રવિડના કોચિંગમાં ભારતે ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો ત્યારથી ટીમ ઇન્ડિયાને ગંભીરનું કોચિંગ મળી રહ્યું છે.
અતુલ વાસનનો આક્ષેપ છે કે ટીમ ઇન્ડિયાના અમુક ખેલાડીઓ ગંભીરના આક્રમક અભિગમને બદલ નાખુશ છે અને (કોઈ પણ ફૉર્મેટની) ટીમમાં પોતાનું સ્થાન નિશ્ચિત નથી એવી ભીતિ સાથે કરીઅરમાં આગળ વધી રહ્યા છે.
58 વર્ષીય અતુલ વાસન અને ગંભીર વચ્ચે અગાઉ દિલ્હી ક્રિકેટમાં ઘર્ષણ થઈ ચૂક્યું છે. અતુલ વાસન જ્યારે દિલ્હી ક્રિકેટમાં ચીફ સિલેક્ટર હતો ત્યારે (2017-'18માં) ગંભીરને દિલ્હીની ટીમના કૅપ્ટનપદેથી હટાવવામાં આવ્યો હતો. ગંભીરે ત્યારે વાસનની સિલેક્શન કમિટીની ખૂબ ટીકા કરી હતી.
અતુલ વાસનના ગૌતમ સામેના ગંભીર આક્ષેપો
ભારત વતી ચાર ટેસ્ટ અને નવ વન-ડે રમી ચૂકેલા અતુલ વાસને યુટ્યૂબ પરના એક જાણીતા શૉ દરમ્યાન કહ્યું છે કે `ગંભીરને હું નાનપણથી ઓળખું છું. તેની સાથે મારી ઘણી ખટપટ થઈ ચૂકી છે. માય વે ઑર હાઇવે (મારી વાત માનો...નહીં તો, રસ્તો પકડો) એવો તેનો અભિગમ હોય છે. દિલ્હી ક્રિકેટમાં પણ તેનું આવું જ વલણ હતું. ટીમ ઇન્ડિયાના કેટલાક ખેલાડીઓ તેના કોચિંગની સ્ટાઇલથી ખુશ નથી. ગંભીરનો અભિગમ વધુ પડતો આક્રમક હોય છે. ગંભીર ખૂબ બુદ્ધિશાળી અને શ્રેષ્ઠ ખેલાડી છે.
આત્મવિશ્વાસ અને અતિ આક્રમક અભિગમે જ સફળ ક્રિકેટર બનાવ્યો અને હવે તેનો એ સ્વભાવ વિવાદનું મૂળ બની ગયો છે. તેનો અહંકાર સાવ અલગ સ્તર પર જ હોય છે. તે જો દિવસને રાત કહે તો ખેલાડીઓએ પણ રાત જ કહેવી પડે. જો કોઈ પ્લેયર તેનું ન માને તો તે તેના હિટ લિસ્ટમાં આવી જાય. એ ખેલાડીને તે નુકસાન પહોંચાડવાની કોશિશ કરે છે. ગંભીર ઝઘડો ન કરે ત્યાં સુધી શ્રેષ્ઠ પર્ફોર્મ નથી કરી શકતો. એટલે જ તો ભૂતકાળમાં વિરાટ કોહલી સાથે તે ઘણી વખત ઘર્ષણમાં ઊતર્યો હતો. આક્રમક સ્વભાવને કારણે ગંભીરે ઘણું ગુમાવ્યું છે અને ખૂબ મેળવ્યું પણ છે.'