પ્રફુલ શાહ
સ્કેમ, કૌભાંડ કે ગોટાળાની દુનિયા કે દેશને નવાઈ નથી. માનવીય લાલચ અને લુચ્ચાઈ એકેય ચીજમાં અનૈતિક, અણછાજતી કે ગેરકાયદે કમાણીની તક છોડતી નથી. એટલું જ નહિ, એ નીતનવા ક્ષેત્ર અને નુસખા શોધી કાઢે છે ખોટી રીતે અધધ રૂપિયા કમાઈ લેવાના. જોઈએ એક વધુ કૌભાંડ.
મ્યુચ્યુઅલ ફંડ્સ પ્રમાણમાં સલામત રોકાણ હોવાના દાવા થતા આવ્યા છે, પરંતુ તેમાં ય જોખમો અને અનિશ્ચિતતા પણ હોવાનું સામે આવ્યું છે. આવો કે એટલે 1997નું સી. આર. ભંસાલી( ચેન રૂપ ભંસાલી) સ્કેમ. અમુક મીડિયામાં એનો ઉલ્લેખ સીઆરબી સ્કેમ તરીકેય છે.
સૌ પ્રથમ સી. આર. ભંસાલી વિશે થોડું જાણીએ. મૂળ ચેન રૂપ ભંસાલી રાજસ્થાનના સુજાનગઢ રહેવાસી. પછીથી કોલકાતા પહોંચી ગયા. જ્યુટ(કંતાન)નો વેપાર કરતા મધ્યમવર્ગીય પરિવાર ના આ ફરજંદ 1989માં બી. કોમ. થયા. પછી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બન્યા. તેમણે પોતાના નામે સી. આર. બી. કન્સલ્ટન્સી નામની ફર્મ શરૂ કરી. આ ફર્મ લોકોને નાણાકીય સહાય અને માર્ગદર્શનની સેવા પૂરી પાડતી હતી. શરૂઆતથી જ ભંસાલી એકદમ સક્રિય હતા અને અનેક ક્ષેત્રોમાં સારી ઓળખાણ પણ ખરી. કોલકાતામાં જ તેમને એવા ક્લાયન્ટ્સ મળ્વા માડ્યા કે જેને તેઓ ઇશ્યૂ મેનેજમેન્ટ (શેર બજારમાં લિસ્ટિંગ વગેરે) સર્વિસિસ આપવા લાગ્યા હતા.
વ્યાવસાયિક પ્રવૃત્તિ અને પ્રગતિ સાથે
સમય સાથે ચેન રૂપ ભંસાલીએ એ.સી.એસ. (એસોસિએટ કંપની સેક્રેટરી), પી.એચ.ડી. સહિતની ભારતીય વત્તા અમેરિકન ડિગ્રી મેળવી. એટલું જ નહિ તેમણે તો પત્રકારિતામાં ડિપ્લોમા પણ કર્યો હતો. ભંસાલીની કમાણી સારી હતી, પરંતુ તેમની મહત્ત્વાકાંક્ષા મસમોટી હતી. એ સાકાર કરવા કોલકાતા નાનું લાગ્યું. આથી તેમણે દેશની રાજધાની દિલ્હી તરફ નજર દોડાવી. અને દિલ્હીમાં તેમણે એક મોટી રજિસ્ટ્રાર કંપનીમાં નોકરી કરી, પણ ત્યાં કેટલીક ગેરરીતિઓના આરોપને લીધે આ કંપની છોડવી પડી હતી.
તેમણે 1985માં નવી દિલ્હીમાં સી.આર.બી. ક્ધસલ્ટન્ટસ નામની નવી પ્રાઈવેટ લિમિટેડ કંપની સ્થાપી. ત્યારબાદ તેઓ દેશની અગ્રણી રજિસ્ટ્રાર કંપનીઓમાંની એક સાથે જોડાયા, જ્યાં ગ્રાહકો પાસેથી ઓછી ફી વસૂલવાના મામલે ઝડપાઈ જતા તેમને કંપની છોડવી પડી. અંતે તેમણે 1992માં સી.આર.બી. મ્યુચ્યુઅલ ફંડ અને સી.આર.બી. શેર કસ્ટોડિયલ સર્વિસિઝ નામના સાહસ શરૂ કર્યા. એટલું જ નહિ, સાથે 134 અનલિસ્ટેડ કંપનીઓ અને સબસિડિયરીઓ પણ ઊભી કરી.
એ સમયે નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની (એન.બી.એફ.સી.) ક્ષેત્રમાં જબરી તેજી આવી હતી. ભારતીય અર્થવ્યવસ્થામાં આ પ્રમાણમાં નવી બાબત હતી. ચેન રૂપ ભંસાલીએ નિમયનના અભાવ અને એમાં રહેલી છટકબારીનો કેવી રીતે, કેટલો અને કેવો લાભ લીધો હતો? પણ 1997 સી. આર. ભંસાલી ( ચેન રૂપ ભંસાલી) સ્કેમે સરકારને નાણાકીય કંપનીઓ માટેનું નિયમનકારી માળખું વધુ મજબૂત બનાવવા જરૂરી પગલાં લેવાં કેવી રીતે મજબૂર કરી? (ક્રમશ:)