( મુંબઈ સમાચાર ટીમ )
વડનગર: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડનગરની ઐતિહાસિક ધરોહરને સાચવવા માટે પ્રગતિ હેઠળ રહેલા મહત્વકાંક્ષી હેરિટેજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ અને ફસાડ રિસ્ટોરેશન પ્રોજેક્ટની મુલાકાત લીધી હતી.જેમાં સરકારના પાયલોટ પ્રોજેક્ટમાં વડનગરની પ્રાચીન ઇમારતો અને શેરીઓને તેના મૂળ વૈભવ સાથે પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ આ અવસરે નિર્માણ કાર્યનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી કામગીરીની પ્રગતિ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો અને વડનગરના સાંસ્કૃતિક વારસાને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાની નેમ દોહરાવી હતી.
આવનારી પેઢી આ ભવ્ય વિરાસતને નિહાળી શકે
આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદેશ વડનગરના હેરિટેજ વિસ્તારોની આગવી ઓળખ અને પરંપરાગત સ્થાપત્ય શૈલીને જાળવી રાખવાનો છે. આ મિશન અંતર્ગત હેરિટેજ મૂલ્ય ધરાવતી ખાનગી મિલકતો અને રહેણાંક મકાનોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી રિનોવેશન કરવામાં આવી રહ્યું છે. રિસ્ટોરેશનની સમગ્ર પ્રક્રિયામાં જે-તે સમયની મૂળ સ્થાપત્ય શૈલી અને પરંપરાગત બાંધકામ પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ખાસ કરીને સ્થાનિક સામગ્રી અને કુશળ કસબીઓને પ્રાધાન્ય આપીને પ્રાચીન કોતરણી અને બાંધકામને જીવંત રાખવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. જેથી આવનારી પેઢી આ ભવ્ય વિરાસતને નિહાળી શકે.
80 ટકા રકમ રાજ્ય સરકાર સહાય પેટે ચૂકવે છે
ઐતિહાસિક વારસાના જતનની આ ઝુંબેશમાં રાજ્ય સરકારે જનભાગીદારીના વિશિષ્ટ મોડલને અમલમાં મૂકીને સફળતા મેળવી છે. આ યોજના હેઠળ થનારા કુલ ખર્ચના 80 ટકા રકમ રાજ્ય સરકાર દ્વારા સહાય પેટે ચૂકવવામાં આવે છે, જ્યારે બાકીના 20 ટકા ફાળો જે-તે મિલકતના લાભાર્થીઓ દ્વારા આપવામાં આવે છે.
સરકારના આ અભિગમને કારણે સ્થાનિક નાગરિકોમાં પોતાના વારસાના સંરક્ષણ પ્રત્યે ગૌરવ અને માલિકીભાવ કેળવાયો છે. આ સફળતાને જોતા અન્ય 100 જેટલા મિલકતધારકોએ પણ સ્વેચ્છાએ આ પ્રોજેક્ટનો હિસ્સો બનવા અને પોતાની મિલકતોનું રિસ્ટોરેશન કરાવવા માટે ઉત્સુકતા દર્શાવી છે.
55 ઐતિહાસિક ઇમારતોના રિસ્ટોરેશનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ
વડનગરના આ સમગ્ર પ્રોજેક્ટને મુખ્યત્વે ચાર મહત્વના ઝોનમાં વહેંચીને કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં પ્રેરણા સ્કૂલ પરિસર, સુપ્રસિદ્ધ કીર્તિ તોરણ પરિસર, પથ્થરની હવેલી વિસ્તાર અને શર્મિષ્ઠા તળાવના કિનારા જેવા ઐતિહાસિક સ્થળોનો સમાવેશ થાય છે.
અત્યાર સુધીની પ્રગતિ મુજબ કુલ 55 ઐતિહાસિક ઇમારતોના રિસ્ટોરેશનનું કામ સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હાલના તબક્કે અન્ય ઇમારતો પર કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જ્યારે આગામી સમયમાં વધુ 2 ઇમારતો પર રિસ્ટોરેશનની પ્રક્રિયા હાથ ધરવાનું આયોજન છે, જેનાથી વડનગરનો સમગ્ર હેરિટેજ પટ્ટો નવા અવતારમાં પ્રસ્થાપિત થશે.