બેંગલુરુ: બેંગલુરુની જેલમાં કેદીઓને કટ્ટરપંથી બાનાવવાના ષડયંત્ર અંગેના વર્ષ 2023ના કેસમાં નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી(NIA) ની એક સ્પેશિયલ કોર્ટે સાત આરોપીઓને સજા ફટકારી છે. કોર્ટે ષડ્યંત્રના માસ્ટરમાઇન્ડ અને લશ્કર-એ-તૈયબા (LeT) ના સદસ્ય ટી. નસીર સહિત કુલ સાત આરોપીઓને સજા ફટકારી છે.
NIAની સ્પેશિયલ કોર્ટે ટી. નસીર ઉપરાંત સૈયદ સુહેલ ખાન, મોહમ્મદ ઉમર, ઝાહિદ તબરેઝ, સૈયદ મુદાસિર પાશા, મોહમ્મદ ફૈઝલ રબ્બાની અને સલમાન ખાનને IPC, UA(P)A, આર્મ્સ એક્ટ અને વિસ્ફોટક પદાર્થો એક્ટની વિવિધ કલમો હેઠળ સાત વર્ષની સખત કેદની સજા અને 48,000 રૂપિયાના દંડની સજા ફટકારી છે.
શું હતું ષડયંત્ર?
બેંગલુરુની પરપ્પના અગ્રાહરા સેન્ટ્રલ જેલની અંદર ટી. નસીર અને ટોળકી દ્વારા આતંકવાદી કાવતરૂ ઘડવામાં આવ્યું હતું. આ ટોળકી જેલમાં કેદ યુવાનો ફસાવતી, તેમને સંગઠનમાં સામેલ કરવામાં આવતા, તાલીમ આપવામાં આવતી અને તેમનું ધર્માંતરણ કરવા કરવાનો પ્રયાસ કરવામાં આવતો. ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ફેલાવવાના ઈરાદા સાથે જેલમાંથી આ કટ્ટરપંથી કાવતરું ઘડવામાં આવ્યું હતું. આરોપીએ NIA દ્વારા ફ્રેમ કરવામાં આવેલા આરોપોને સ્વીકાર કર્યા છે.
ટી. નસીર 2008ના બેંગલુરુ વિસ્ફોટો કેસમાં અન્ડરટ્રાયલ કેદી હતો, તેણે જેલમાંથી કોર્ટમાં લઈ જતી વખતે ભાગી જવાની યોજના બનાવી હતી. ત્યાર બાદ બેંગલુરુ શહેરમાં આતંકવાદી હુમલા કરવાની યોજના બનાવી હતી.
જુલાઈ 2023માં ગુનેગારો પાસેથી હથિયારો, દારૂગોળો અને ડિજિટલ ડિવાઈસ જપ્ત કરવામાં આવ્યા હતાં. બેંગલુરુ સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) દ્વારા આ કેસ નોંધવામાં આવ્યો હતો.
એક આરોપીની હજુ પણ તલાસ:
પ્રાથમિક તપાસ બાદ મોટા ષડયંત્રનો પર્દાફાશ થતા આ કેસ NIA એને સોંપવામાં આવ્યો હતો. NIA એ આ કેસમાં 11 આરોપીઓની ધરપકડ કરી છે અને એક ફરાર આરોપી, જેની ઓળખ જુનૈદ અહેમદ તરીકે થઈ છે. તેને શોધી કાઢવા અને ધરપકડ કરવાના પ્રયાસો ચાલુ છે.