Wed Sep 02 2026

Logo

બાબર બની ગયો બાવર્ચીઃ પરિવાર માટે બનાવી બિરયાની...

lahore   2026-03-22 16:16:08
Author: Ajay Motiwala
બાબર બની ગયો બાવર્ચીઃ પરિવાર માટે બનાવી બિરયાની...

લાહોરઃ પાકિસ્તાનનો ભૂતપૂર્વ કૅપ્ટન બાબર આઝમ ઘણા મહિનાઓથી બૅટિંગમાં ફૉર્મ ગુમાવી બેઠો છે, પણ બિરયાની (Biryani) હંમેશની જેમ સ્વાદિષ્ટ બનાવી શકે છે અને એટલે જ તેણે શનિવારે ઇદ-ઉલ-ફિત્રના અવસરે ઘરમાં બિરયાની બનાવીને પરિવારજનોને ખવડાવી હતી.

31 વર્ષના બાબરે (Babar) બિરયાની ઉપરાંત સેવઇયાં અને શીર ખુરમા પણ બનાવ્યા હતા. તે ઘરમાં આ સ્પેશ્યલ ભોજન બનાવવામાં મશગૂલ હતો ત્યારનો વીડિયો તથા ફોટોગ્રાફ વાઇરલ થયા છે. સોશ્યલ મીડિયા પર ચાહકોએ બાબરના આ બાવર્ચી-લુકને તેમ જ ફૅમિલી માટે ભોજન બનાવવાના ઉત્સાહને વખાણ્યો હતો.

બાબર તાજેતરના ટી-20 વર્લ્ડ કપ વખતે પૂરો ફિટ નહોતો અને હવે પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ) માટે પણ પૂરો ફિટ ન હોવાનું જાણવા મળ્યું છે. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર બાબર તેમ જ ફખર ઝમાન વર્લ્ડ કપ વખતે ઈજાગ્રસ્ત હતા છતાં રમ્યા હતા જેને લઈને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની ટીકા થઈ રહી છે.

નૅશનલ સિલેક્ટર અકીબ જાવેદે તાજેતરમાં મિસબાહ-ઉલ-હક, સરફરાઝ અહમદ, અસદ શફીકની હાજરીમાં પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી કે બાબર આઝમ તથા ફખર ઝમાન વર્લ્ડ કપ પહેલાં ફિટ નહોતા જેની જાણ સિલેક્ટરોને ટૂર્નામેન્ટ પછી કરવામાં આવી હતી.