Wed Jul 29 2026

Logo

વિરોધ કરતા વિદ્યાર્થીઓ આતંકવાદી નથી, સરકારે હેરાનગતિ બંધ કરવી જોઈએ: અભિજીત દીપકે

2026-07-29 19:39:52
Author: Mumbai Samachar Team
Article Image

છત્રપતિ સંભાજીનગર: 'કોકરોચ જનતા પાર્ટી' (સીજેપી)ના સ્થાપક અભિજીત દીપકેએ જણાવ્યું હતું કે સરકારે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને પરેશાન કરવાનું બંધ કરવું જોઈએ, કારણ કે તેઓ આતંકવાદી નથી પરંતુ દેશનું ભવિષ્ય છે.

તેમણે એમ પણ કહ્યું કે જો સરકાર યોગ્ય માર્ગે નહીં ચાલે, તો યુવાનો તેને બદલી નાખશે. દિલ્હીથી પરત ફર્યા બાદ છત્રપતિ સંભાજીનગર એરપોર્ટ પર પત્રકારો સાથે વાતચીત કરતી વખતે દીપકેએ આ વાત કરી હતી. 

છત્રપતિ સંભાજીનગરમાં ઉતર્યા બાદ દીપકે કહ્યું કે તેઓ ખુશ છે કે હવે તેઓ તેમના માતા-પિતાને મળી શકશે. દીપકે એ કહ્યું કે વિરોધ પ્રદર્શન બાદ ઘણા રાજ્યોની સરકારો વિદ્યાર્થીઓને પરેશાન કરી રહી છે. 

એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજીનામું આપીને 'ઇન્ફ્લુએન્સર' બની જવું જોઈએ, કારણ કે "તેઓ આ કામમાં ખૂબ જ કુશળ છે". તેમણે કહ્યું કે સરકારે એવું ન માનવું જોઈએ કે પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને કારણે વિદ્યાર્થીઓનો રોષ ઓછો થયો છે.

દીપકેએ બાદમાં વાલુજ એમઆઈડીસી વિસ્તારમાં તેમના ઘરે જતા પહેલા બંધારણના મુખ્ય ઘડવૈયાને શ્રદ્ધાંજલિ આપવા માટે ડૉ. બાબાસાહેબ આંબેડકર મરાઠવાડા યુનિવર્સિટી નજીક ડૉ. બી. આર. આંબેડકરની પ્રતિમાની મુલાકાત લીધી હતી.

ઉલ્લેખનીય છે કે, તેમણે નીટ પેપર લીક મુદ્દે એક મહિના સુધી ચાલેલા ઉગ્ર વિરોધનું નેતૃત્વ કર્યું હતું, જે બાદમાં દેશવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયું હતું અને અંતે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપવું પડ્યું હતું.