આપણે બાળપણથી જ એક કહેવત સાંભળતા આવ્યા છીએ કે હસવું એ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ દવા છે ઘણીવાર ઘરના વડીલો કે મિત્રો પણ કહેતા હોય છે કે 'ખુલીને હસો, તેનાથી શરીરમાં લોહી વધશે'. પરંતુ શું આ વાત માત્ર કહેવત પૂરતી જ સીમિત છે કે પછી તેની પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક કારણ પણ રહેલું છે? શું ખરેખર હસવાથી શરીરમાં લોહીનું પ્રમાણ કે તેનું પરિભ્રમણ વધે છે? ચાલો જાણીએ ખુલીને હસવાથી આપણા શરીર, મન અને ખાસ કરીને બ્લડ સર્ક્યુલેશન પર શું અસર પડે છે.
શું હસવાથી શરીરમાં લોહી વધે છે?
વૈજ્ઞાનિક અને તબીબી સંશોધનો મુજબ, ખુલીને હસવાથી સીધેસીધું જ નવું લોહી બનવા લાગતું નથી, પરંતુ તે લોહીના પરિભ્રમણને ખૂબ જ ઝડપી અને સુચારૂ બનાવે છે. જ્યારે આપણે ખુલીને હસીએ છીએ ત્યારે શરીરમાં ઓક્સિજનનો પુરવઠો વધે છે, જેનાથી નસો પહોળી થઈ જાય છે અને સમગ્ર શરીરમાં લોહીનો પ્રવાહ બહેતર બને છે.

સ્વાસ્થ્ય અને લોહી પર હાસ્યની સકારાત્મક અસરો:
ઓક્સિજનનો પુરવઠો વધે છે:
ખુલીને હસતી વખતે આપણે ઊંડા શ્વાસ લઈએ છીએ, જેનાથી ફેફસાંમાં વધુ માત્રામાં ઓક્સિજન પહોંચે છે. આ ઓક્સિજનયુક્ત લોહી શરીરના દરેક અંગો સુધી પહોંચીને તેમને વધુ કાર્યક્ષમ બનાવે છે.
બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે:
હસવાથી શરીરમાં સ્ટ્રેસ હોર્મોન્સ (કોર્ટિસોલ) નું પ્રમાણ ઘટે છે અને 'એન્ડોર્ફિન' રિલીઝ થાય છે. પરિણામે, બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે અને હૃદય પરનું દબાણ ઘટે છે.

હૃદય રોગનું જોખમ ઘટે છે:
નિયમિત ખુલીને હસવાથી રક્તવાહિનીઓનું કાર્ય સુધરે છે, જે ભવિષ્યમાં હાર્ટ એટેક કે સ્ટ્રોક જેવા હૃદય રોગોના જોખમને ઘટાડવામાં મદદરૂપ થાય છે.
ઈમ્યુનિટી બુસ્ટ થાય છે:
હસવાથી શરીરમાં સંક્રમણ સામે લડતા એન્ટિબોડીઝ અને ટી-સેલ્સ (T-cells) સક્રિય થાય છે, જે શરીરની ઈમ્યુનિટી વધારે છે.
તણાવ અને માનસિક સ્વાસ્થ્યમાં રાહત:
આજના દોડધામભર્યા જીવનમાં ડિપ્રેશન અને ચિંતા (Anxiety) સામાન્ય બની ગયા છે. ખુશ રહેવાથી અને હસવાથી મન શાંત થાય છે, માનસિક થાક દૂર થાય છે અને ચહેરા પર કુદરતી ગ્લો (ચમક) આવે છે.