Tue Aug 18 2026

Logo

યુસૂફ પઠાણના વિવાદાસ્પદ પ્લોટ મામલે કોંગ્રેસના વિરોધ બાદ મનપાએ વેચાણ પ્રસ્તાવ પાછો ખેંચ્યો?

2026-08-14 20:01:09
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ:
પૂર્વ ક્રિકેટર અને સાંસદ યુસૂફ પઠાણના વડોદરાના વિવાદાસ્પદ પ્લોટ મામલે નવો વળાંક આવ્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (વીએમસી) ની પ્રથમ સામાન્ય સભામાં વીએમસી દ્વારા પ્લોટ વેચાણ માટે મૂકવામાં આવેલા પ્રસ્તાવ સામે કોંગ્રેસના કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલાએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

તેમણે માંગ કરી હતી કે પ્લોટનું વેચાણ કરતા પહેલા યુસૂફ પઠાણના કબજામાંથી તેને મુક્ત કરાવવો જોઈએ, કારણ કે કબજા રહિત પ્રોપર્ટી ખરીદનાર વધુ હોય છે અને તેની કિંમત પણ વધુ ઉપજે છે. કોંગ્રેસ અને અન્ય કોર્પોરેટરોના વિરોધને પગલે વીએમસીમાં સત્તાધારી પક્ષ ભાજપે આ પ્રસ્તાવ પાછો ખેંચી લીધો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

વર્ષ 2024માં ટીએમસીની ટિકિટ પર ચૂંટણી જીત્યા બાદ યુસૂફ પઠાણ પર વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર કબજો કરવાનો આરોપ લાગ્યો હતો અને વીજળી કે જમીન ખાલી કરવાની નોટિસ પણ આપવામાં આવી હતી. આ મામલે યુસૂફ પઠાણ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા, જ્યાં કોર્ટે આકરી ટિપ્પણીઓ કરી હતી.

આ ઘટનાક્રમ વચ્ચે વીએમસીની સ્થાયી સમિતિએ શહેરના સાત પ્લોટોને હરાજી માટે રાખ્યા હતા, જેમાં યુસૂફ પઠાણના કબજાવાળા પ્લોટનો પણ સમાવેશ થાય છે. જોકે, સામાન્ય સભામાં વિરોધને કારણે પ્લોટની કિંમત નક્કી કરવાની પ્રક્રિયા અટકી ગઈ હતી.

આ અંગે એક આગેવાને કહ્યું હતું કે યુસૂફ પઠાણનો ગેરકાયદે કબજો હોવાથી પ્લોટને પહેલા કબજામુક્ત કરાવવો જોઈએ અને 2012થી કબજો જમાવવા બદલ નિગમના નિયમ મુજબ અંદાજે 17 કરોડ રૂપિયાનો દંડ કે ભાડું વસૂલવું જોઈએ. અગાઉ ગુજરાત હાઈકોર્ટે પણ સવાલ કર્યો હતો કે કોઈપણ અધિકૃત આદેશ વિના સરકારી જમીન પર કબ્જો કેવી રીતે કરાયો? કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે સેલિબ્રિટી કે જાહેર હસ્તી હોવું એ કાયદાની અવહેલના કરવાની છૂટ આપતું નથી અને જમીન ખાલી કરવામાં વિલંબ કરવા પર ભારે હરજાનો અને દંડ ભરવો પડશે.