ભુજ: પશ્ચિમ રેલવે દ્વારા ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને બે મહત્વની સાપ્તાહિક વિશેષ ટ્રેનોના ફેરા લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છ અને ઉત્તર ભારત તરફ જતા મુસાફરોની સુવિધા માટે ગાંધીધામ-ભાગલપુર અને અમદાવાદ-દરભંગા ટ્રેનો હવે જૂન માસના અંત સુધી કાર્યરત રહેશે.
રેલવેના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રેન સંખ્યા ૦૯૪૫૧ (ગાંધીધામ - ભાગલપુર) સાપ્તાહિક વિશેષ ટ્રેનની અવધિમાં વધારો કરવામાં આવ્યો છે. આ ટ્રેન હવે આગામી ૧૫મી મે થી ૨૬મી જૂન ૨૦૨૬ સુધી કાર્યરત રહેશે. તેવી જ રીતે, ટ્રેન સંખ્યા ૦૯૪૬૫ (અમદાવાદ - દરભંગા) સાપ્તાહિક વિશેષ ટ્રેનને પણ ૧૫મી મે થી ૨૬મી જૂન સુધી લંબાવવામાં આવી છે.
આ વિશેષ ટ્રેનોના વિસ્તરણથી ઉનાળુ વેકેશન દરમિયાન વતન જતા શ્રમિકો અને પ્રવાસીઓને મોટી રાહત મળશે. રેલવે તંત્ર દ્વારા જણાવાયું છે કે, આ ટ્રેનો માટેનું બુકિંગ આજથી એટલે કે ૮મી એપ્રિલ ૨૦૨૬ થી તમામ પીઆરએસ કાઉન્ટર તેમજ આઈઆરસીટીસીની વેબસાઇટ પર શરૂ કરી દેવામાં આવ્યું છે. ટ્રેનોના સમયપત્રક, સ્ટોપેજ અને કોચ કમ્પોઝિશન અંગેની વિગતવાર માહિતી મુસાફરો રેલવેની અધિકૃત વેબસાઇટ પરથી મેળવી શકશે.
(ઉત્સવ વૈદ્ય)