પાંચમી માર્ચના રોજ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને ઈન્ડિયા વચ્ચે ટી20ની બીજી સેમિફાઈનલ રમાવવા જઈ રહી છે. ક્રિકેટપ્રેમીઓ માટે મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ માત્ર એક સ્ટેડિયમ નહીં પણ પણ ઈન્ડિયન ટીમના ઈતિહાસનું જીવતું જાગતું સાક્ષી છે. સમુદ્ર કિનારે આવેલું વાનખેડે સ્ટેડિયમ તેની અનોખી બનાવટ અને યાદગાર મેચો માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, ત્યારે ચાલો જાણીએ વાનખેડે સ્ટેડિયમના કેટલાક સિક્રેટ અને ઓછા જાણીતા ફેક્ટ્સ વિશે...
એક વિવાદને કારણે મુંબઈને મળ્યું વાનખેડે સ્ટેડિયમ
જી હા, તમને જાણીને નવાઈ લાગશે, પણ આ હકીકત છે. વાનખેડે સ્ટેડિયમના નિર્માણ પાછળ એક ખૂબ જ રસપ્રદ કિસ્સો છે. 1970ના દાયકા સુધી મુંબઈની તમામ મોટી મેચો 'બ્રેબોર્ન સ્ટેડિયમ' (CCI) ખાતે રમાતી હતી. પરંતુ ટિકિટના વિતરણને લઈને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) અને સીસીઆઈ વચ્ચે વિવાદ થય અને આ વિવાદ એટલો બધો વધી ગયો કે એમસીએના તત્કાલીન સચિવ શેષરાવ વાનખેડેએ નક્કી કર્યું કે મુંબઈનું પોતાનું અલગ સ્ટેડિયમ હોવું જોઈએ. બસ આ રીતે 1974માં માં માત્ર 11 મહિનાના ટૂંકા ગાળામાં આ ભવ્ય સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ રિપોર્ટ્સમાં જોવા મળે છે.
X/@MumbaiCricAssoc
2011 વર્લ્ડકપ ઐતિહાસિક જિતનું સાક્ષી
દરેક ભારતીય માટે વાનખેડે સ્ટેડિયમનું નામ સાંભળતા જ 2011ના વર્લ્ડ કપની ફાઈનલ મેચ તો ચોક્કસ યાદ આવે છે. બીજી એપ્રિલ, 2011ના રોજ આ વાનખેડે સ્ટેડિયમમાં મહેન્દ્રસિંહ ધોનીએ વિનિંગ સિક્સ ફટકારીને ભારતને પૂરા 28 વર્ષ પછી વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું હતું. આ વિનિંગ સિક્સનો બોલ જે જગ્યાએ સ્ટેન્ડમાં પડ્યો હતો, ત્યાં આજે એક સ્મારક બનાવવામાં આવ્યું છે.
સચિન તેંડુલકરનું હોમ ગ્રાઉન્ડ અને લાસ્ટ મેચ
ક્રિકેટના ભગવાન ગણાતા માસ્ટર બ્લાસ્ટર ક્રિક્ટેર સચિન તેંડુલકર માટે આ વાનખેડે સ્ટેડિયમ તેમનું ઘર છે. સચિને પોતાની કારકિર્દીની શરૂઆત પણ અહીંથી કરી હતી અને નવેમ્બર ૨૦૧૩માં વેસ્ટ ઈન્ડિઝ સામે પોતાની અંતિમ આંતરરાષ્ટ્રીય મેચ (૨૦૦મી ટેસ્ટ) પણ આ જ મેદાન પર રમી હતી. સ્ટેડિયમમાં એક આખું સ્ટેન્ડ સચિનના નામ પરથી રાખવામાં આવ્યું છે.
Sachin Tendulkar, the Wankhede Stadium
સ્ટેડિયમની અનોખી બનાવટ
વાત કરીએ સ્ટેડિયમની બનાવટની તો અરબી સમુદ્રના કિનારે વાનખેડે સ્ટેડિયમ આવેલું હોવાને કારણે અહીંની હવામાં ભેજ હોય છે, જે સ્વિંગ બોલિંગ માટે ખૂબ જ અનુકૂળ રહે છે. આ સિવાય 2011ના વર્લ્ડ કપ પહેલાં સ્ટેડિયમનું રિનોવેશન કરવામાં આવ્યું હતું અને એ સમયે આ સ્ટેડિયમની છત એવી રીતે બનાવવામાં આવી છે કે વચ્ચે કોઈ થાંભલા નડતા નથી, જેથી પ્રેક્ષકો કોઈપણ અડચણ વગર આખી મેચ જોઈ શકે છે. આ સિવાય વાનખેડે સ્ટેડિયમની પિચ લાલ માટીની બનેલી છે, જે બેટ્સમેનોને રન બનાવવામાં અને સ્પિનરોને ટર્ન મેળવવામાં મદદ કરે છે.
વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળેલી મેજિક મોમેન્ટ્સ
રવિ શાસ્ત્રીના 6 છગ્ગા: 1985માં રવિ શાસ્ત્રીએ રણજી ટ્રોફીમાં એક ઓવરમાં 6 છગ્ગા મારવાનો રેકોર્ડ આ જ મેદાન પર બનાવ્યો હતો.વાનખેડેમાં જ જોવા મળ્યો મેક્સવેલ મેજિક: 2023ના વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ગ્લેન મેક્સવેલે અહીં જ અણનમ 201 રન ફટકારીને ઓસ્ટ્રેલિયાને અશક્ય લાગતી જીત અપાવી હતી.સૌથી વધુ પ્રેક્ષકો: મુંબઈના વાનખેડે સ્ટેડિયમની સિટીંગ કેપેસિટીની વાત કરીએ તો આ સ્ટેડિયમની કેપેસિટી આશરે 33,000 પ્રેક્ષકોની છે.