Wed Jul 01 2026

Logo

યુપીના રાજ્યપાલ આનંદી બહેન પટેલે યુનિવર્સિટીમાં ગ્રાન્ટ મુદ્દે સવાલ ઉઠાવ્યા, કહ્યું ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો

2025-12-06 21:25:51
Author: Chandrakant Kanoja
Article Image

અમદાવાદઃ ગુજરાત વિદ્યાપીઠ ખાતે સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેલા યુપીના રાજ્યપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદી બહેન પટેલે શિક્ષણ વ્યવસ્થા પર તીવ્ર ટિપ્પણી કરી હતી. તેમણે  કહ્યું હતું કે 'ડિગ્રીઓ ભ્રષ્ટાચારનો અડ્ડો છે.જેના નિવારણ માટે ઉત્તર પ્રદેશમાં અમે ચાર વર્ષથી ડીજી લોકરમાં ડિગ્રી આપવાની શરૂઆત કરી છે, જેથી ભ્રષ્ટાચાર ન થાય'. આ ઉપરાંત, તેમણે યુનિવર્સિટીઓમાં કરોડોની ગ્રાન્ટના ઉપયોગ સામે સવાલ ઉઠાવ્યો હતો.

200 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું 
 
ગુજરાત વિદ્યાપીઠ ખાતે સ્નાતક સંઘ શતાબ્દી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં પૂર્વ સ્નાતક અને ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદી બહેન પટેલ પણ હાજર રહ્યા હતા. જ્યાં 200 જેટલા પૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. બે દિવસના સમારોહમાં 10 હજાર પૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેના સમાપન સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે. આ સમારોહમાં આનંદીબેન પટેલે ગાંધી મૂલ્યોનું જીવનમાં અનુકરણ કરવા પર ભાર મૂક્યો હતો. 

વિશ્વમાં માત્ર ગાંધી વિચાર જ શાશ્વત 

આ સમારોહમાં પૂર્વ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ હાજર રહ્યાં હતા. જેમણે જણાવ્યું હતું કે, આજે સનાતનનું અપમાન હું સાંખી નહીં લવ એવો સંકલ્પ કરીએ. કેટલીક મર્યાદામાં આપણે વિરોધ નથી કરતા. પણ કોઈ આપણી સામે સનાતનનું હળહળતું અપમાન કરતું હોય, કોઈ એમ કહે કે મચ્છરની જેમ મસળી નાખીએ હોય તો તે આપણે સાંભળી લઈએ તો ખોટું કહેવાય. હિન્દુ ધર્મ હિંસક છે એવું કોઈ કહે તો કમ સે કમ એનું સમર્થન તો ના આપીએ. ગાંધી વિચારમાં પણ સનાતન વિચાર સમાયેલો છે. વિશ્વમાં માત્ર ગાંધી વિચાર જ શાશ્વત છે, અન્ય વિચારો નાશ પામ્યા છે.