Thu Sep 10 2026

Logo

શ્રીલંકા સામે ટેસ્ટ પહેલાં ટીમ ઈન્ડિયા રંગાઈ દેશભક્તિના રંગમાં, ગૉલમાં ત્રિરંગો લહેરાવીને ખેલાડીઓએ ગાયું રાષ્ટ્રગીત

Galle   2026-08-15 13:05:00
Author: Mayur Patel
શ્રીલંકા સામે ટેસ્ટ પહેલાં ટીમ ઈન્ડિયા રંગાઈ દેશભક્તિના રંગમાં, ગૉલમાં ત્રિરંગો લહેરાવીને ખેલાડીઓએ ગાયું રાષ્ટ્રગીત

ગૉલઃ ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી ટેસ્ટ શ્રેણીની શરૂઆત થઈ છે.  ગૉલ ખાતે રમાઈ રહેલી મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લંચ બ્રેક સમયે ભારતનો સ્કોર 1 વિકેટના નુકસાન પર 101 રન છે.  જયસ્વાલ 32 રન બનાવીને રન આઉટ થયો હતો. કેએલ રાહુલ 32 રન અને દેવદત્ત પડ્ડીકલ 35 રને રમતમાં હતા.

દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વ પર ટીમ ઈન્ડિયા પણ દેશભક્તિના રંગમાં રંગાઈ હતી. મેચ શરૂ થાય તે પહેલાં ભારતીય ખેલાડીઓએ ધ્વજવંદન કર્યું હતું. તમામ ખેલાડીઓએ સાથે મળીને એકસૂરે રાષ્ટ્રગીત ગાયું હતું. BCCI એ આનો વિડીયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે..

ભારતીય ક્રિકેટ ટીમ રમી રહી છે પોતાની 600મી ટેસ્ટ મેચ

આ વચ્ચે ખાસ બાબત એ પણ છે કે ભારતીય ક્રિકેટ ટીમ આજે પોતાની 600મી ટેસ્ટ મેચ રમી રહી છે. અત્યાર સુધી માત્ર બે જ અન્ય ટીમો 600થી વધુ ટેસ્ટ મેચ રમી શકી છે. તેમાં પ્રથમ નામ ઇંગ્લેન્ડનું આવે છે, જેને ક્રિકેટનું જન્મદાતા પણ કહેવામાં આવે છે. ઇંગ્લેન્ડે અત્યાર સુધીમાં 1097 મેચ રમી છે, અને તે 1000થી વધુ ટેસ્ટ રમનારો એકમાત્ર દેશ છે. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજા સ્થાને આવે છે, જેણે અત્યાર સુધી 883 ટેસ્ટ મેચ રમી છે. હવે ભારતના પણ 600 ટેસ્ટ પૂરા થઈ ગયા છે. ભારત પછી વેસ્ટ ઈન્ડિઝનો નંબર આવે છે, જેણે અત્યાર સુધી 596 ટેસ્ટ રમી છે; ટૂંક સમયમાં આ ટીમ પણ પોતાના 600 ટેસ્ટ પૂર્ણ કરશે. ન્યૂઝીલેન્ડની ટીમ 487 ટેસ્ટ રમીને આ યાદીમાં પાંચમા ક્રમે આવે છે.

ભારતની પ્લેઇંગ 11: યશસ્વી જયસ્વાલ, કે.એલ. રાહુલ, દેવદત્ત પડિક્કલ, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ, માનવ સુથાર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા.