Fri Jun 19 2026

Logo

જગન્નાથજીની જળયાત્રા પૂર્વે સૂકીભઠ્ઠ સાબરમતી નદીમાં ફરી પાણી છોડાશે

2026-06-19 19:14:05
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી સૂકીભઠ્ઠ પડેલી સાબરમતી નદી હવે ફરીથી ભરવાની તૈયારી છે. વાસણા બેરેજ પર દરવાજાના સમારકામ અને બદલાવવા માટે નદીમાંથી પાણી કાઢવામાં આવ્યું હતું અને સાબરમતી નદી ઘણા સમયથી પાણી વગરની પડી હતી હતી. 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીએ જણાવ્યું હતું કે, રથયાત્રા પહેલા જગન્નાથ મંદિર દ્વારા આયોજિત વાર્ષિક જળ યાત્રાને ધ્યાનમાં રાખીને, સાબરમતી નદીમાં પાણી છોડવા માટે સિંચાઈ વિભાગને દરખાસ્ત કરવામાં આવી છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ દેવાંગ દાણીના જણાવ્યા અનુસાર, 22 જૂન સુધીમાં નદીમાં પાણી છોડવામાં આવશે. વાસણા બેરેજના દરવાજાઓના સમારકામની સ્થિતિમાં જળ યાત્રા માટે નદીમાં પાણી છોડવાથી ચાલુ સમારકામ કાર્ય પર અસર થઈ શકે છે. જોકે અધિકારીઓએ ધાર્મિક કાર્યક્રમને પ્રાથમિકતા આપવાનો અને શોભાયાત્રા પહેલા નદીના પાણીનું સ્તર જળવાઈ રહે તે માટેનો નિર્ણય લીધો હતો.

આ દરમિયાન સાબરમતી નદીમાં મૃત માછલીઓના વાયરલ  વીડિયો પર પ્રતિક્રિયા આપતા, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે વાયરલ વીડિયોમાં દર્શાવેલ સ્થાન પર નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેના પ્રાથમિક તારણો દર્શાવે છે કે નદીના પાણીના સ્તરમાં ઘટાડો થવાને કારણે માછલીઓનું મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે, અધિકારીઓનો અંદાજ છે કે મૃત માછલીઓની સંખ્યા 50 થી 100 ની વચ્ચે હતી.