છત્રપતિ સંભાજીનગર: કૃષ્ણા-મરાઠવાડા લિફ્ટ ઇરિગેશન સ્કીમને રાષ્ટ્રીય પ્રોજેક્ટનો દરજ્જો આપવા રજૂઆત કરવામાં આવી છે. મધ્ય મહારાષ્ટ્રમાં દુષ્કાળને રોકવાના હેતુથી કૃષ્ણ-મરાઠવાડા લિફ્ટ ઈરિગેશન સ્કીમને રાષ્ટ્રીય પ્રોજેક્ટ જાહેર કરવી જોઈએ, એમ ઉસ્માનાબાદના સાંસદ ઓમપ્રકાશ રાજેનિમ્બાલકરે જણાવ્યું હતું.
ગયા મહિને શિવસેના (યુબીટી) છોડીને એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનામાં જોડાયેલા છ લોકસભા સાંસદોમાં રાજેનિમ્બાલકર સામેલ હતા. આ સાંસદોએ તાજેતરમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે તેમના મતવિસ્તારોને લગતા મુદ્દાઓ અંગે ચર્ચા કરી હતી. શાહ સાથેની તેમની બેઠક દરમિયાન તેમણે કૃષ્ણા-મરાઠવાડા સિંચાઈ પ્રોજેક્ટ અંગેની રજૂઆત કરી હતી, એમ રાજેનિમ્બાલકરે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે શાહે તેમની સમસ્યાઓ ધીરજપૂર્વક સાંભળી હતી અને જણાવ્યું કે સંસદના આગામી સત્ર દરમિયાન આ બાબતો રજૂ કરી શકાય છે. આનાથી કેન્દ્રીય ભંડોળ પ્રાપ્ત થશે અને કામમાં ગતિ આવશે, એમ તેમણે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે તેમના મતવિસ્તાર માટે કેન્દ્રીય વિદ્યાલય સહિતની અન્ય માંગણીઓ પણ કરવામાં આવી હતી. કૃષ્ણા મરાઠવાડા સિંચાઈ યોજના એ એક મુખ્ય સિંચાઈ યોજના છે જે કૃષ્ણા નદીના તટપ્રદેશમાંથી 23.66 ટીએમસી (હજાર મિલિયન ઘન ફૂટ) પાણીને દુષ્કાળગ્રસ્ત મરાઠવાડામાં વાળવા માટે બનાવવામાં આવી છે, જેમાં ધારાશિવ સહિત આઠ જિલ્લાઓનો સમાવેશ થાય છે.