Tue Aug 18 2026

Logo

વિદ્યાર્થી આંદોલન લાવ્યું રંગ: ઝારખંડમાં JPSC-JSSC પરીક્ષા ગેરરીતિ મામલે સરકાર વાતચીત માટે તૈયાર

2026-08-16 21:46:44
Author: Devayat Khatana
Article Image

નવી દિલ્હી: દેશમાં જંતર મંતર પર કોકરોચ પાર્ટીના આંદોલન પૂર્ણ થયા બાદ ઝારખંડમાં વિદ્યાર્થી આંદોલનના મંડાણ થયા હતા. રાંચીમાં JPSC અને JSSC પરીક્ષામાં થયેલી ગેરરીતિઓ સામે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઝારખંડની હેમંત સોરેન સરકાર આંદોલનકારી વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા માટે તૈયાર થઈ ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. સરકારના આ સકારાત્મક વલણ બાદ, વિદ્યાર્થીઓને તેમની રજૂઆતો સાંભળવા માટે સોમવારે બપોરે 2 વાગ્યે વાટાઘાટો માટે બોલાવવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

મળતી વિગતો અનુસાર, સબ-ડિવિઝનલ ઓફિસર અને ADM દ્વારા વિદ્યાર્થીઓને આ પ્રસ્તાવ અંગે સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી હતી. સરકાર દ્વારા સમસ્યાના ઉકેલ માટે કરવામાં આવેલી આ નવી પહેલ હેઠળ, આંદોલનકારી વિદ્યાર્થીઓને 17 ઓગસ્ટના રોજ બપોરે 2 વાગ્યે બેઠક માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ બેઠકમાં વિદ્યાર્થીઓને પોતાના કાનૂની સલાહકારો સાથે ભાગ લેવાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે, જેથી કાયદાકીય પાસાઓની યોગ્ય ચર્ચા થઈ શકે.

ઉલ્લેખનીય છે કે, આ પ્રસ્તાવ ત્યારે આવ્યો છે જ્યારે રવિવારે જ વિદ્યાર્થીઓએ આખા ઝારખંડમાં ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. આંદોલનકારીઓએ રાંચીમાં મુખ્યમંત્રી હેમંત સોરેન, લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવના પૂતળાંનું દહન કર્યું હતું. આ ઉપરાંત, તેમણે આગામી 20 ઓગસ્ટના રોજ મુખ્ય પ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવ કરવાની પણ જાહેરાત કરી હતી, જેના થોડા સમય બાદ જ સરકાર નરમ પડી હોવાના અને વાતચીત માટે તૈયાર થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે.