Thu Jul 23 2026

Logo

પીએમ મોદી સુરતના હજીરા પહોંચ્યા, ભારતીય સેના માટેના હથિયારોનું નિરીક્ષણ કર્યું

2026-06-05 15:42:35
Author: Chandrakant Kanoja
Article Image

હજીરા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસના સુરત પ્રવાસે છે. આ દરમિયાન તેવો સુરતની હજીરા સ્થિત એલ એન્ડ ટી કંપનીમાં પહોંચ્યા હતા. જેમાં તેમણે ભારતીય સેના માટે બનાવેલા હથિયારનું નિરીક્ષણ કર્યું  હતું. આ ઉપરાંત હજીરામાં ચાલી રહેલી  ઔદ્યોગિક કામગીરી અને માળખાગત પ્રોજેક્ટ્સની પણ માહિતી મેળવી હતી. 

સ્વદેશી ઘાતક હથિયારો અને ટેન્કોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું

પીએમ મોદી સુરત મુલાકાત દરમિયાન એલ એન્ડી ટી કંપની દ્વારા  ભારતીય સેના માટે વિકસાવવામાં આવી રહેલા હથિયારોના આર્મર્ડ સિસ્ટમ્સ કોમ્પ્લેક્સની મુલાકાત લીધી હતી. જેમાં તેમણે સ્વદેશી ઘાતક હથિયારો અને ટેન્કોનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન  તેમણે સંરક્ષણ ક્ષેત્રના ઉચ્ચ અધિકારીઓ અને એન્જિનિયરો સાથે સીધો ચર્ચા કરી હતી. તેમજ  સેલ્ફ-પ્રોપેલ્ડ હોવિત્ઝર તોપો, આર્મર્ડ વ્હીકલ્સ અને અન્ય સાધનોનું નિરીક્ષણ કર્યું  હતું. 

ચાર વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત ખાતેથી ગુજરાત સરકારના ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અને પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડના ₹4950.39 કરોડના ખર્ચના ચાર વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.

ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપાન્શન પ્રોજેક્ટનું લોકાર્પણ

વડાપ્રધાન ગુજરાતમાં ટ્રાન્સમિશન નેટવર્ક એક્સપાન્શન પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે, જેના થકી ગુજરાતથી મહારાષ્ટ્ર સુધી ઉચ્ચ-ક્ષમતાવાળો વીજ પ્રવાહ પહોંચાડવો શક્ય બનશે. પાવરગ્રિડ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિ. દ્વારા સુરત અને નવસારી જિલ્લામાં ₹4,546 કરોડના ખર્ચે અમલી કરવામાં આવેલ આ પ્રોજેક્ટ, રાજ્યના ટ્રાન્સમિશન નેટવર્કને મજબૂત બનાવશે.