નવી દિલ્હી/મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૯ જૂને તેમના ત્રીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ કરશે. એવી ચર્ચા છે કે ભાજપ સંગઠનાત્મક ચૂંટણીઓ પૂર્ણ થયા પછી વડા પ્રધાન પાંચ રાજ્યમાં ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમના પ્રધાનમંડળમાં ફેરબદલ કરી શકે છે.
રાજકીય વર્તુળોમાં એવી અટકળો ચાલી રહી છે કે મહારાષ્ટ્રના અજિત પવારની એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર ડૉ. શ્રીકાંત શિંદેને પ્રધાન બનવાની તક મળી શકે છે.
હાલમાં, એનડીએના સાથી એનસીપી તરફથી કોઈ પ્રધાન નથી. એવી અટકળો ચાલી રહી છે કે વડા પ્રધાન મોદી ચોમાસા સત્ર પહેલા કેન્દ્રીય પ્રધાનમંડળમાં ફેરબદલ કરી શકે છે.
મહારાષ્ટ્રમાં બધી ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે. બારામતી અને રાહુરી વિધાનસભા બેઠકો માટે પણ આવતા મહિને ચૂંટણી યોજાશે. અજિત પવારના અવસાન બાદ, તેમના પત્ની સુનેત્રા પવારે એનસીપી પ્રમુખ સાથે નાયબ મુખ્યપ્રધાનનું પદ સંભાળ્યું છે.
એવી ચર્ચા છે કે મુશ્કેલ સમયમાં પાર્ટીના આધારસ્તંભ રહેલા પ્રફુલ્લ પટેલની રાહ પૂરી થઈ શકે છે. દરમિયાન, શિવસેનાના ક્વોટામાંથી, શ્રીકાંત શિંદેના નામની ચર્ચા થઈ રહી છે. જો શિંદે તેમના પુત્રને પ્રધાન તરીકે નિયુક્ત નહીં કરે, તો બીજો ઉમેદવાર માવળના સાંસદ શ્રીરંગ બાર્ને હોઈ શકે છે.
તાજેતરમાં, એકનાથ શિંદેએ દિલ્હીની મુલાકાત દરમિયાન મોદી સાથે ખાસ મુલાકાત કરી હતી. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્રીય પ્રધાનમંડળમાં ફેરબદલ પહેલાં મહારાષ્ટ્રનું રાજકારણ ફરી ખોરવાઈ શકે છે.
શિંદે જૂથ પોતાનું વર્ચસ્વ વધારવા માટે ઉદ્ધવ ઠાકરેના સાંસદોને તોડીને પોતાના પક્ષમાં લાવવાની તૈયારી કરી રહ્યા છે. આના કારણે રાજ્યમાં "ઓપરેશન ટાઇગર" ની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
શિંદે શક્ય તેટલા વધુ સાંસદોને સામેલ કરીને કેન્દ્રમાં પોતાનો પ્રભાવ વધારવાનો પ્રયાસ કરી શકે છે. બુલઢાણાના રહેવાસી પ્રતાપરાવજાધવને પ્રમોશન મળી શકે છે અને શિંદેની પાર્ટીને વધુ એક પ્રધાન પદ મળવાની શક્યતા છે.