Thu Jul 23 2026

Logo

પરબધામમાં અષાઢી બીજનો ભવ્ય મેળો: હજારો સેવકોની  સેવકોની અદમ્ય સેવા, 24 કલાક ધમધમ્યું રસોડું

2026-07-16 19:18:07
Author: Devayat Khatana
Article Image

જૂનાગઢ: સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ યાત્રાધામ પરબ વાવડીની જગ્યામાં અષાઢી બીજ મહાપર્વની ધામધૂમ અને ઉલ્લસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. સંત દેવીદાસ બાપુ અને અમર માના સમાધિના દિવસે વર્ષોથી જૂનાગઢ જિલ્લાના ભેંસાન તાલુકાના પરબ વાવડીની જગ્યામાં ભવ્ય લોકમેળો યોજાય છે. સવારે જગ્યાના મહંત કરશનદાસ બાપુ દ્વારા નિશાન વિધિ કરીને મેળાની વિધિવત રીતે પ્રારંભ કરાવ્યો હતો. ત્યારબાદ સમાધિઓનું પૂજન, યજ્ઞ અને સંતોના આશીર્વચનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેળાનો લાભ લેવા અને સંતોના સમાધિ સ્થાને માથું ટેકવવા સૌરાષ્ટ્ર, કચ્છ ગુજરાત સહિત દૂરદૂરથી સેવકો પરબધામ ખાતે પહોંચ્યા હતા. 

આ અષાઢી બીજ મહાપર્વના પ્રસંગે જગ્યાના મહંત કરશનદાસ બાપુએ શ્રદ્ધાળુઓને દેશહિતની રક્ષા સહિતના વિષય પર ધ્યાન દોર્યું હતું. તેમણે કહ્યું ઝતું કે રાષ્ટ્ર માટે નેતાઓની જરૂર છે, જે ધરતી પર આપણે જન્મ્યા તેની રક્ષાની જવાબદારી માત્ર સરકારની નહીં પણ આપણા નાગરિકોની છે. આજે વિશ્વમાં અનેક દુર્ઘટનાઓ બની રહી છે, ત્યારે જો આપણા રાષ્ટ્રમાં જો કોઈ દુર્ઘટના કે એવી પરિસ્થિતિ ઊભી થાય તો પ્રજાએ મેદાનમાં ઊતરવું પડે. તેમણે તેને જ ધર્મ ગણાવ્યો હતો અને કહ્યું હતું કે કોઈપણ પરિસ્થિતિમાં ધીરજ રાખવી તે જ સાચો ધર્મ છે."

પરબધામનો અષાઢી બીજનો મેળો તેની વ્યવસ્થાને કારણે પણ ખૂબ જ વખણાય છે. આ લોકમેળામાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવતા હોઇ એ લાખો શ્રધ્ધાળુઓને લગતી વ્યવસ્થા માટે આજુબાજુના પંથકના 30થી વધારે ગામના અંદાજે હજારો સેવકો ખડેપગે સેવા આપતા હોય છે. સતત 24 કલાક સુધી ધમધમતા રસોડામાં ભોજનના ટ્રેલરો ભરીને પહોંચાડવામાં આવે છે જે દ્રશ્ય જોઈને આશ્ચર્ય થઈ આવે. આ સાથે પરબધામના રસોડામાં એકસાથે 5 હજાર જેટલી રોટલીઓ બની હતી. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ મેળાની સેવાનો લાભ લીધો હતો.