નવી દિલ્હીઃ દેશમાં વીમા વગર રોડ પર બિન્દાસ્ત ફરતા વાહનો પર લગામ લગાવવા માટે સુપ્રીમ કોર્ટે પ્રસ્તાવ મૂક્યો છે. જેમાં વાહનનો વીમો નહીં તો ફ્યુઅલ નહીં (NO ઇન્શ્યોરન્સ- NO ફ્યુઅલ) અભિયાનને પાયલોટ પ્રોજેક્ટ તરીકે લાગૂ કરવાની પ્રપોઝલ આપવામાં આવી છે. સુપ્રીમ કોર્ટે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ એટલે કે IRDAI અને મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટને નિર્દેશ આપ્યો છે કે તે એક એવો પાયલોટ પ્રોજેક્ટ તૈયાર કરે જે પ્રોજેક્ટ હેઠળ પેટ્રોલ પંપો પર ઇંધણ આપતા પહેલા વાહનના માન્ય ઇન્સ્યોરન્સની તપાસ થઇ શકે અને વીમો ન હોય તો પેટ્રોલ-ડીઝલ આપવાની ના પાડી શકાય.
સુપ્રીમ કોર્ટે માર્ગ સલામતી અને વીમા નિયમોને સખત બનાવવા માટે મહત્વપૂર્ણ નિર્દેશો જારી કર્યા છે. કોર્ટે માર્ગ પરિવહન મંત્રાલય અને IRDAI ને પેટ્રોલ પંપ પર બળતણ (ઇંધણ), ANPR કેમેરા અને નવા વાહનોના વીમા અંગે મોટા આદેશો આપ્યા છે. કોર્ટે માર્ગ પરિવહન મંત્રાલય અને IRDAI ને એક એવો પાઇલટ પ્રોજેક્ટ તૈયાર કરવા જણાવ્યું છે, જેના હેઠળ પેટ્રોલ પંપ પર વાહનનો માન્ય વીમા (valid vehicle insurance) ન હોવાની સ્થિતિમાં ગાડીઓને ઇંધણ એટલે કે પેટ્રોલ-ડીઝલ આપવા પર પ્રતિબંધ લગાવી શકાય.
હાઈવે અને રસ્તાઓ પર લાગેલા ઓટોમેટિક નંબર પ્લેટ રિકગ્નિશન (ANPR) કેમેરાને 'વાહન VAHAN' પોર્ટલ અને વીમા ડેટાબેઝ સાથે જોડવામાં આવશે. આનાથી વીમા વગરની ગાડીઓના આપમેળે ઈ-ચલણ કાપી શકાશે. નવી ગાડીઓ માટે વીમાનો સમયગાળો વધારતા કોર્ટે નવી ખાનગી કાર માટે ફરજિયાત થર્ડ-પાર્ટી વીમાની મુદત 3 વર્ષથી વધારીને 4 વર્ષ કરી દીધી છે.
જ્યારે નવા બે-પૈડાવાળા વાહનો (ટૂ-વ્હીલર) માટે તેને 5 વર્ષથી વધારીને 6 વર્ષ કરી દેવામાં આવી છે. પોલીસ માટે મોબાઈલ એપ પણ હશે. રસ્તા પર ચેકિંગ માટે ટ્રાફિક પોલીસને એવી મોબાઈલ એપ અથવા હેન્ડહેલ્ડ ડિવાઈસ આપવામાં આવશે, જેનાથી તેઓ પળભરમાં ગાડીના વીમાની ચકાસણી કરી શકે.