Tue Sep 08 2026

Logo

ગોવિંદા આલા રે! આવતીકાલે મુંબઈના આ 7 સ્થળે દહીંહાંડીની થશે ભવ્ય ઉજવણી, જુઓ લિસ્ટ

2026-09-04 21:26:58
Author: Mumbai Samachar Team
ગોવિંદા આલા રે! આવતીકાલે મુંબઈના આ 7 સ્થળે દહીંહાંડીની થશે ભવ્ય ઉજવણી, જુઓ લિસ્ટ

મુંબઈ: જન્માષ્ટમીના પાવન પર્વને લઈને મુંબઈ અને થાણેમાં ફરી એકવાર ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આવતીકાલે શહેરની ગલી ગલીઓમાં ગોવિંદા આલા રે ગીત ગૂંજી ઊઠશે. વિવિધ વિસ્તારોમાં ભવ્ય દહીંહાંડીના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે અગર તમે જો જોવા જવાનું પ્લાન કરવા ઈચ્છતા હોય તો આ લેખ તમારા માટે છે. મુંબઈ-થાણેમાં ઊંચા માનવ પિરામિડ, ગોવિંદા પથકોની સ્પર્ધા, સંગીત, મનોરંજન અને મોટી સંખ્યામાં ઉમટતા લોકો સાથે મુંબઈમાં દહીંહાંડીનો ઉત્સવ રંગબેરંગી બનશે. જો તમે દહીંહાંડીની પરંપરા અને ગોવિંદા પથકોની રોમાંચક સ્પર્ધાને નજીકથી જોવા માંગતા હો, તો મુંબઈ અને થાણેમાં આ 7 સ્થળો આકર્ષણનું ખાસકેન્દ્ર બની શકે છે.

1. સંકલ્પ પ્રતિષ્ઠા દહીંહાંડી, વરલી

વરલીની સંકલ્પ પ્રતિષ્ઠા દહીંહાંડી મુંબઈની જાણીતી દહીંહાંડી ઉજવણીઓમાંની એક છે. અહીં મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી કુશળ ગોવિંદા પથકો ભાગ લે તેવી અપેક્ષા છે. ગોવિંદાઓ માનવ પિરામિડ બનાવી ઊંચાઈ પર બાંધેલી હાંડી ફોડવા માટે એકબીજા સાથે સ્પર્ધા કરશે. ઉત્સાહથી ભરેલો માહોલ, ગોવિંદા પથકોની સ્પર્ધા અને મોટી સંખ્યામાં દર્શકોને કારણે અહીં દહીંહાંડીની પરંપરાગત તેમજ સ્પર્ધાત્મક ઉજવણીનો અનુભવ કરી શકાય છે.

2. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ મંડળ, ઘાટકોપર

ઘાટકોપર મુંબઈમાં જન્માષ્ટમી અને દહીંહાંડીની ઉજવણી માટે જાણીતો વિસ્તાર છે. શ્રી કૃષ્ણ જન્માષ્ટમી ઉત્સવ મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં શહેરના વિવિધ વિસ્તારોમાંથી ગોવિંદા પથકો ભાગ લેવાના છે. પડકારજનક ઊંચાઈએ બાંધવામાં આવેલી હાંડી, રંગબેરંગી સજાવટ, ઉત્સાહી દર્શકો અને માનવ પિરામિડ બનાવવાની સ્પર્ધા અહીં આકર્ષણનું મુખ્ય કેન્દ્ર રહેશે. પરંપરાગત દહીંહાંડીનો માહોલ માણવા માટે આ સ્થળ ખાસ બની શકે છે.

3. બાલ ગોપાલ મિત્ર મંડળ, લાલબાગ

લાલબાગ ગણેશોત્સવની ભવ્ય ઉજવણી માટે સમગ્ર મુંબઈમાં જાણીતું છે, પરંતુ જન્માષ્ટમી દરમિયાન પણ અહીં ઉત્સવનો માહોલ જોવા મળે છે. બાલ ગોપાલ મિત્ર મંડળ દ્વારા આયોજિત દહીંહાંડીમાં ગોવિંદા પથકો અને મોટી સંખ્યામાં લોકો ભાગ લેવાની અપેક્ષા છે. હાંડી સુધી પહોંચવા માટે ગોવિંદાઓ દ્વારા કરવામાં આવતા રોમાંચક પ્રયાસો કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રહેશે. મુંબઈની પરંપરાગત તહેવારી ઊર્જા અનુભવવા માંગતા લોકો માટે લાલબાગ સારો વિકલ્પ બની શકે છે.

4. ઘાટકોપરની દહીંહાંડી જાણીતી

ઘાટકોપરની દહીંહાંડી ઉજવણીમાં રામ કદમ દહીંહાંડી પણ વિશેષ સ્થાન ધરાવે છે. અહીં ગોવિંદા પથકો માનવ પિરામિડ બનાવી હાંડી ફોડવાની સ્પર્ધામાં ભાગ લેશે. ઘાટકોપરમાં જન્માષ્ટમી દરમિયાન સામાન્ય રીતે મોટી સંખ્યામાં લોકો ઉમટતા હોય છે. આ કારણે અહીં દર્શકોનો ઉત્સાહ, સંગીત, ગોવિંદા પથકોની સ્પર્ધા અને તાળીઓના ગડગડાટ વચ્ચે દહીંહાંડીની ઉજવણીનો અલગ જ અનુભવ થઈ શકે છે.

5. સન્માન દહીંહાંડી, ઘાટકોપર વેસ્ટ

2026 માટે ખાસ જાહેર કરાયેલા કાર્યક્રમોમાં સન્માન દહીંહાંડીનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમ 5 સપ્ટેમ્બરના રોજ બપોરે 1 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી યોજાશે. કિરણ ભાઉ લાંડગે મિત્ર પરિવાર દ્વારા આયોજિત આ કાર્યક્રમ ઘાટકોપર વેસ્ટમાં અસલ્ફા ખાતે અંધેરી-ઘાટકોપર લિંક રોડ પર આવેલા કિરણ ભાઉ લાંડગે જનસંપર્ક કાર્યાલય ખાતે યોજાશે. દિવસ દરમિયાન શરૂ થઈ રાત્રિ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટવાની શક્યતા છે.

6. સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠા દહીંહાંડી, થાણે

મુંબઈની સાથે થાણેમાં પણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ કરવામાં આવી છે. સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠા દહીંહાંડી થાણે વિસ્તારના જાણીતા કાર્યક્રમોમાંથી એક છે. શિવસેનાના ધારાસભ્ય પ્રતાપ સરનાઈક દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ગોવિંદા પથકો અને મોટી સંખ્યામાં દર્શકોની હાજરીથી ઉત્સવનો માહોલ વધુ જીવંત બનશે. થાણે અને આસપાસના વિસ્તારોમાં રહેતા લોકો માટે મુંબઈ સુધી મુસાફરી કર્યા વિના દહીંહાંડીનો ઉત્સાહ માણવાનો આ સારો વિકલ્પ બની શકે છે.

7. માગાથાણે દહીંહાંડી, બોરીવલી

ઉત્તર મુંબઈમાં રહેતા લોકો માટે માગાથાણે દહીંહાંડીની ઉજવણી આ વર્ષે ખાસ બની શકે છે. બોરીવલી ઈસ્ટના દેવીપાડા મેદાન ખાતે 5 સપ્ટેમ્બરના રોજ સવારે 10 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દિવસભર ગોવિંદા પ્રવૃત્તિઓ, સંગીત અને મનોરંજન કાર્યક્રમો યોજાવાના છે. આ વર્ષની ઉજવણીમાં મરાઠી ભાષાના શિક્ષણ અને મરાઠી શાળાઓના સંરક્ષણના મહત્વનો સાંસ્કૃતિક સંદેશ પણ આપવામાં આવશે. કાર્યક્રમમાં રાજકીય નેતાઓની હાજરી રહેવાની પણ અપેક્ષા છે.

મુંબઈમાં ફરી ગુંજશે ‘ગોવિંદા આલા રે’

મુંબઈની દહીંહાંડી માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ શહેરની સાંસ્કૃતિક અને સામાજિક પરંપરાનો પણ મહત્વનો ભાગ છે. ગોવિંદા પથકોની મહેનત, માનવ પિરામિડનો રોમાંચ, ઢોલ-નગારાનો નાદ અને હજારો લોકોનો ઉત્સાહ મળીને આ તહેવારને યાદગાર બનાવે છે. 5 સપ્ટેમ્બરના રોજ મુંબઈ અને થાણેના આ વિસ્તારોમાં દહીંહાંડીની ભવ્ય ઉજવણી સાથે ફરી એકવાર શહેરમાં ‘ગોવિંદા આલા રે!’ના નારા ગુંજતા જોવા મળશે.