Fri Aug 28 2026

Logo

દેશમાં એસઆઇઆર સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા અડધાથી વધુ લોકો હિન્દુ હોવાનો મમતાનો દાવો

2025-12-04 20:56:00
Author: Mumbai Samachar Team
દેશમાં એસઆઇઆર સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા અડધાથી વધુ લોકો હિન્દુ હોવાનો મમતાનો દાવો

બેરહામપુરઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ આજે એસઆઇઆર મુદ્દે ભાજપ પર નિશાન સાધ્યું હતું. દેશભરમાં ગણતરી સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા અડધાથી વધુ લોકો હિન્દુ હોવાનો તેમણે દાવો કર્યો હતો.

મુખ્ય પ્રધાને ભાજપને ચેતવણી આપી હતી કે તે જે ડાળ પર બેઠી છે તેને જ કાપી રહી છે. લઘુમતી પ્રભુત્વ ધરાવતા મુર્શિદાબાદ જિલ્લામાં એસઆઇઆર વિરુદ્ધ એક રેલીને સંબોધતા બેનર્જીએ ભાજપ પર ૨૦૨૬ની વિધાનસભા ચૂંટણી પહેલા ધાર્મિક રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ટીએમસી સુપ્રીમોએ જણાવ્યું કે તેઓ બંગાળમાં ક્યારેય પણ એનઆરસી અથવા ડિટેન્શન કેમ્પને મંજૂરી આપશે નહીં, પછી ભલે મારું ગળું કાપી નાખવામાં આવે. તેમણે કહ્યું કે ભાજપ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(એસઆઇઆર) પર ધાર્મિક રાજકારણ કરી રહ્યું છે. એસઆઇઆર સંબંધિત ઘટનાઓમાં માર્યા ગયેલા અડધાથી વધુ લોકો હિન્દુ હતા. જે ડાળી પર બેઠા છો તેને જ કાપશો નહીં.

તેમણે વધુમાં જણાવ્યું કે હું બંગાળમાં એનઆરસી કે ડિટેન્શન કેમ્પને મંજૂરી આપીશ નહીં. ભલે તેઓ મારું ગળું કાપી નાખે, કોઇને પણ બહાર કાઢવામાં આવશે નહીં. બેનર્જીએ એ વાતનું પુનરાવર્તન કરતાં કહ્યું કે બંગાળ એક સુરક્ષિત અને સમાવિષ્ટ રાજ્ય જ રહેશે. તેમણે કહ્યું કે વક્ફ સંપત્તિઓનું રક્ષણ કરવામાં આવશે. વક્ફ સંપત્તિ પર અતિક્રમણ કરવામાં નહીં આવે, લઘુમતીઓની સુરક્ષા મારી જવાબદારી છે.