જબલપુર : મધ્ય પ્રદેશ હાઇકોર્ટે ધાર ભોજશાળા મંદિર-કમલ મૌલા મસ્જિદ વિવાદ કેસમાં મોટો ચુકાદો આપ્યો છે. જેમાં હિન્દુ પક્ષના વકીલના જણાવ્યા અનુસાર કોર્ટે ભોજશાળા સંકુલને હિન્દુ મંદિર તરીકે માન્યતા આપી છે. કોર્ટે જૈન સમુદાય અને મુસ્લિમ પક્ષ દ્વારા દાખલ કરાયેલી અરજીઓને ફગાવી દીધી છે. આ નિર્ણય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા રજૂ કરાયેલા અહેવાલ પર આધારિત છે.
ભોજશાળા અંગે હિન્દુ પક્ષની દલીલ સ્વીકારી
આ અંગે હાઇકોર્ટે ભોજશાળા અંગે હિન્દુ પક્ષની દલીલ સ્વીકારી લીધી છે. હાઈકોર્ટે અવલોકન કર્યું કે આ સ્થળે હિન્દુ પૂજા અને ધાર્મિક વિધિ સતત કરવામાં આવી રહી છે. ઐતિહાસિક દસ્તાવેજમાં પણ પ્રસ્તાપિત થાય છે આ વિવાદિત વિસ્તાર જેને ભોજશાળા તરીકે ઓળખવામાં આવે છે. તે પરમાર વંશના રાજા ભોજ સાથે સંકળાયેલા સંસ્કૃત શિક્ષણના કેન્દ્ર તરીકે માન્યતા પ્રાપ્ત હતી.
સંકુલને દેવી વાગ્દેવીને સમર્પિત મંદિર તરીકે માન્યતા આપી
આ ઉપરાંત ચુકાદામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા રજૂ કરાયેલા અહેવાલનો પણ આધાર લેવામાં આવ્યો છે. ભોજશાળા કેસમાં કોર્ટના ચુકાદાએ સંકુલને દેવી વાગ્દેવીને સમર્પિત મંદિર તરીકે માન્યતા આપી છે. જેની બાદ ધારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને પોલીસ અને વહીવટી અધિકારીઓ હાઇ એલર્ટ પર છે.
આ અંગેના ચુકાદામાં હાઈકોર્ટે જણાવ્યું હતું કે હિન્દુ ફ્રન્ટ ફોર જસ્ટિસ દ્વારા દાખલ કરાયેલી અરજીનો નિકાલ આ નિર્દેશો સાથે કરવામાં આવે છે.
દેવી વાગ્દેવી સરસ્વતીનું મંદિર પણ શામેલ
જેમાં હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે ભોજશાળા અને કમલ મૌલા મસ્જિદનો સમાવેશ થતો વિવાદિત વિસ્તાર 18માર્ચ, 1904 થી 1958 ના કાયદા હેઠળ એક સંરક્ષિત સ્મારક છે. આ વિસ્તારનું ધાર્મિક પાત્ર ભોજશાળાનું છે. જેમાં દેવી વાગ્દેવી સરસ્વતીનું મંદિર પણ શામેલ છે.
ASI મિલકતનો એકંદર વહીવટ ચાલુ રાખશે
આ ઉપરાંત ધાર સ્થિત વિવાદિત મિલકતમાં ભોજશાળા મંદિર અને સંસ્કૃત શિક્ષણના હેતુપૂર્ણ વહીવટ અને સંચાલન અંગે કેન્દ્ર સરકાર અને ASI નિર્ણયો લેશે. આ ઉપરાંત ASI મિલકતનો એકંદર વહીવટ ચાલુ રાખશે.