Fri May 15 2026

Logo

અમેરિકામાં ગૌતમ અદાણી સામેના છેતરપિંડીના આરોપો પાછા ખેંચી લેવાશે, સિવિલ ફ્રોડ કેસમાં પણ સમાધાન થશે

2026-05-15 09:23:00
Author: Vimal Prajapati
Article Image

ન્યૂયોર્ક/અમદાવાદ: એશિયાના સૌથી ધનિક વ્યક્તિ અને અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી માટે વૈશ્વિક સ્તરેથી ખૂબ જ મહત્વના સમાચાર મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકી ન્યાય વિભાગ (Justice Department) ગૌતમ અદાણી સામેના ક્રિમિનલ કેસને સમાપ્ત કરવાની તૈયારીમાં છે. તેની આજ અઠવાડિયમાં જ જાહેરાત કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે.

શું હતો સમગ્ર વિવાદ?

નવેમ્બર 2024માં બ્રુકલિનની યુએસ એટર્ની ઓફિસે ગૌતમ અદાણી અને અન્યો સામે ગંભીર આરોપો લગાવ્યા હતા. આરોપ મુજબ, ભારતમાં સોલર એનર્જીના કોન્ટ્રાક્ટ મેળવવા માટે અંદાજે 250 મિલિયન ડોલરની લાંચ આપવામાં આવી હતી અને અમેરિકી રોકાણકારો સામે આ હકીકત છુપાવીને ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. જોકે, અદાણી ગ્રુપે શરૂઆતથી જ આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી દીધા હતા.

SEC સાથે પણ સમજૂતીની શક્યતા

માત્ર ક્રિમિનલ કેસ જ નહીં, પરંતુ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) દ્વારા દાખલ કરવામાં આવેલા સિવિલ ફ્રોડ કેસમાં પણ સમાધાનની પ્રક્રિયા ચાલી રહી છે. જાણકારોનું માનવું છે કે SEC સાથેના કેસમાં નાણાકીય દંડ ભરીને મામલો થાળે પાડવામાં આવી શકે છે. કેટલાક લોકોના મતે, જ્યારે ન્યાય વિભાગ આરોપીઓ દેશની બહાર હોવાથી તેમની સામેના આરોપો પાછા ખેંચવા માટે અસરકારક પગલાં લઈ શકે છે, ત્યારે SEC સાથેના કોઈપણ સમાધાનમાં નાણાકીય દંડનો સમાવેશ થવાની શક્યતા છે.

અદાણી ગ્રુપ માટે માર્ગ મોકળો

આ વર્ષની શરૂઆતમાં, અદાણીના વકીલોએ SECના છેતરપિંડીના કેસને રદ કરવા માટે દલીલ કરતા કાગળો દાખલ કર્યા હતા, જેમાં કહેવામાં આવ્યું હતું કે નિયમનકારો પાસે બે માણસો પર જરૂરી અધિકારક્ષેત્રનો અભાવ છે અને કેસને ટેકો આપતા કથિત ખોટા નિવેદનો કાર્યવાહીપાત્ર નથી. આ કેસોના નિકાલથી અદાણી ગ્રુપના આંતરરાષ્ટ્રીય વિસ્તરણના માર્ગમાં રહેલા અવરોધો દૂર થશે. ગ્રુપ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય કેપિટલ માર્કેટમાંથી ભંડોળ મેળવી શકશે અને તેના ગ્રીન એનર્જી, એરપોર્ટ અને માળખાગત સુવિધાઓના પ્રોજેક્ટ્સમાં વધુ આક્રમક ગતિએ આગળ વધી શકશે.