Wed Jul 01 2026

Logo

લેઉવા પટેલના મોભી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે 'મનમેળ', એકબીજાને ભેટ્યા

2025-12-07 13:54:00
Author: Devayat Khatana
Article Image

જેતપુર: લેઉવા પાટીદાર સમાજના આસ્થાના કેન્દ્ર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને લેઉવા પાટીદાર સમાજના જ દિગ્ગજ નેતા જયેશ રાદડિયાના સામસામા નિવેદનો સતત ચર્ચાનું કેન્દ્ર રહેતા હતા. જો કે બંને કોઈ એકનું પણ નામ લીધા વિના જ પ્રહારો કરતાં હતા. બંને આગેવાનો વચ્ચે મનમેળ કરાવવાના પ્રયાસો પણ થયા હતા પરંતુ કોઈ સફળ રહ્યા નહોતા, ત્યારે હવે બંને નેતાઓ વચ્ચે મનમેળ થયા હોવાની ચર્ચા છે અને બંને આજે  એકબીજાને ગળે પણ મળ્યા હતા. 

નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલી રહેલા મનદુખનો સુખદ ઉકેલ ખોડલધામના મંચ પરથી જ થયો છે અને  જયેશ રાદડિયા અને નરેશ પટેલ એકબીજાને ગળે પણ મળ્યા હતા. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી શેર થઈ રહ્યા છે. આ પરંગે જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, જયેશ રાદડિયા રહે કે ના રહે પણ ખોડલધામ હંમેશા રહેવાનું છે. આ મામલે ગુજરાત સરકારના કૃષિ પ્રધાન જીતુ વાઘાણીએ વાત કરતાં કહ્યું હતું કે, નરેશભાઈ પટેલ મારા અને જયેશ રાદડિયા કરતા મોટા છે અને પિતાતુલ્ય છે. સમાજ અગ્રણીઓ એક છે અને એક જ રહેવાના છે. આમ બંને વચ્ચેની ઉષ્માભરેલી મુલાકાતથી લેઉઆ પટેલ સમાજના બે મોભીઓ વચ્ચે મનદુઃખ દૂર થઈને સમાધાન થયું હોવાની ચર્ચા ચાલી રહી છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં લેઉઆ પટેલ સમાજના બે મોટા નેતા એવા ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને જેતપુર-જામ કંડોરણા બેઠકના ધારાસભ્ય જયેશ રાદડિયા વચ્ચે મનદુઃખ હોવાની વાત કોઈથી છાની કે નવી નથી પણ નથી. આ વાતની સાબિતી જયેશ રાદડિયા અને નરેશ પટેલ બંનેએ એકબીજાના નામ લીધા વિના જ જે નિવેદનો આપ્યા હતા તે પૂરતી છે. જો કે તેમ છતાં બંને આગેવાનો અનેક કાર્યક્રમોમાં એક મંચ પર દેખાયા હતા પરંતુ આજની મુલાકાતથી રાજકારણમાં જુદી જ ચર્ચા ચાલી રહી છે.