ગુજરાતમાં કેટલાક એવા લોકો છે જે ટેક્સની ચોરી કરતા હોય છે. ટેક્સની ચોરી કરવા માટે બોગસ બિલિંગ પણ કરતા હોય છે. આ મામલે જીએસટી વિભાગ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવતી રહે છે. અત્યારે પણ જામનગરમાં જીએસટી વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિગતે વાત કરવામાં આવે તો, રાજ્ય GST વિભાગે 128 કરોડ રૂપિયાથી વધુના બનાવટી વ્યવહારો સાથે સંકળાયેલા એક છેતરપિંડીભર્યા ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) રેકેટનો પર્દાફાશ કર્યો છે અને આ કૌભાંડ સાથે સંકળાયેલા બે વ્યક્તિઓની ધરપકડ કરી છે.
આ શહેરોમાં જીએસટી વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી
ચોક્કસ માહિતી અને ત્યારબાદના વિશ્લેષણના આધારે, વિભાગે 16 જૂન 2026ના રોજ જામનગર, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, સુરત અને ભાવનગરમાં કાર્યવાહી કરવામાં આવી હતી. જે કાર્યવાહીમાં મંડોવારા ટ્રેડિંગ કંપની સહિત 22 કંપનીઓ સામે સંકલિત શોધ અને જપ્તીની કામગીરી હાથ ધરી હતી. આ કામગીરી દરમિયાન, વિભાગે જામનગરથી મેસર્સ મંડોવારા ટ્રેડિંગ કંપનીના માલિક સુરેશચંદ્ર મૂળચંદ્ર શાહ અને તેમના પુત્ર આયુષ સુરેશચંદ્ર શાહની 23.08 કરોડથી વધુની કરચોરીમાં સંડોવણી બદલ ધરપકડ કરી હતી.
128 કરોડથી વધુના બનાવટી વ્યવહારો દર્શાવ્યા
તપાસમાં બહાર આવ્યું છે કે, પેઢીએ પિત્તળ અને તાંબાના ભંગારની બોગસ ખરીદીઓ રેકોર્ડ કરીને અને તે બિન-અસલી વ્યવહારોના આધારે બનાવટી ઇનપુટ ટેક્સ ક્રેડિટનો દાવો કરીને મોટા પાયે કરચોરી કરી હતી. પ્રારંભિક પૂછપરછ સૂચવે છે કે મંડોવારા ટ્રેડિંગ કંપનીએ રૂપિયા 128 કરોડથી વધુના બનાવટી વ્યવહારો દર્શાવ્યા હતા જે બોગસ કંપનીઓ દ્વારા અને માલની ભૌતિક હિલચાલ વિના કરવામાં આવ્યા હતા, જેનો હેતુ સરકારી તિજોરીને રૂપિયા 23.08 કરોડથી વધુનો કરચોરી કરવાનો હતો.
જામનગરમાં GSTના દરોડામાં પિતા-પુત્રની ધરપકડ થઈ, રૂપિયા 128 કરોડથી વધુના બનાવટી બિલો બનાવ્યાં તે બદલ થઈ કાર્યવાહી#Jamnagar #GST #Gujarat pic.twitter.com/j9u2u9PPPX
— MG Vimal - વિમલ પ્રજાપતિ (@mgvimal_12) June 24, 2026
ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ખોટો ઉપયોગ GST કાયદાની કલમ ૧૩૨(૧)(c) અંતર્ગત ગુનો બને છે, જ્યારે ITC પાસ કરવા માટે નકલી ઇન્વોઇસ જારી કરવા એ GST કાયદાની કલમ ૧૩૨(૧)(b) અંતર્ગત ગુનો બને છે. બંને આરોપીઓની સ્પષ્ટ સંડોવણી સ્થાપિત કર્યા પછી, વિભાગે વધુ તપાસને સરળ બનાવવા માટે તેમની ધરપકડ કરી હતી. જેમ જેમ તપાસ આગળ વધે છે, વિભાગને અપેક્ષા છે કે વધુ કરચોરી અને વધારાની બાકી GST જવાબદારીઓ પ્રકાશમાં આવી શકે છે. રાજ્ય કર વિભાગ આ બાબતમાં સરકારી મહેસૂલનું રક્ષણ અને વસૂલાત કરવા માટે યોગ્ય કાનૂની કાર્યવાહી જોરશોરથી કરી રહ્યું છે.
રાજ્ય GST વિભાગ દ્વારા તમામ નાગરિકો અને કરદાતાઓને અપીલ કરવામાં આવી છે કે, તેઓ સંવેદનશીલ દસ્તાવેજો - જેમ કે આધાર, PAN, GST નોંધણી વિગતો, બેંક ખાતાની માહિતી અથવા અન્ય ગુપ્ત રેકોર્ડ - અજાણ્યા અથવા અનધિકૃત વ્યક્તિઓ સાથે શેર ન કરે. આવા દસ્તાવેજોનો દુરુપયોગ નાણાકીય છેતરપિંડી અને ઓળખ ચોરી તરફ દોરી શકે છે. જનતાને સતર્ક રહેવા અને તેમની વ્યક્તિગત અને વ્યવસાયિક માહિતીનું રક્ષણ કરવા વિનંતી કરવામાં આવે છે.