Thu Jul 23 2026

Logo

સુરતમાં હર્ષ સંઘવીએ ઢીંચણ સમાણા પાણીમાં ઉતરીને લોકોના હાલ જાણ્યા, ક્યા અધિકારીઓને તતડાવ્યા ?

2026-07-10 12:27:00
Author: Mayur Patel
Article Image

સુરતઃ સુરતમાં 18 ઇંચ વરસાદથી સાર્વત્રિક જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.વરસાદ બંધ થયા બાદ હર્ષ સંઘવી ઢીંચણ સમાણા પાણીમાં ઉતર્યા હતા અને લોકોના હાલ જાણ્યા હતા. આ સમયે તેમણે વિવિધ વિભાગના અધિકારીઓને ખખડાવીને તાત્કાલિક કામગીરી કરવા કહ્યું હતું.

સુરતના મજૂરાના ધારાસભ્ય અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ લિંબાયત, ડિંડોલી અને સારોલી વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે અસરગ્રસ્ત નાગરિકો સાથે સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ જાણી હતી. મુલાકાત દરમિયાન તેમણે પાણી ભરાયેલા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. તેમજ સ્થાનિક દુકાનદારો, સોસાયટીના રહીશો અને અસરગ્રસ્ત પરિવારો સાથે સંવાદ સાધી તેમની મુશ્કેલીઓ, નુકસાન અને જરૂરીયાતોની જાણકારી મેળવી હતી.

 

નાયબ મુખ્યમંત્રીએ  નાગરિકોને જરૂરી સહાય સમયસર પહોંચે તે માટે વહીવટી તંત્રના અધિકારીઓને આદેશ આપ્યો હતો.
આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અધિકારીઓને વરસાદી પાણીના ઝડપથી નિકાલ, સફાઈ કામગીરી, વીજ પુરવઠાની સુચારુ વ્યવસ્થા તેમજ આરોગ્ય અને સ્વચ્છતા અંગે વિશેષ તકેદારી રાખવા સૂચના આપી હતી. સાથે જ અસરગ્રસ્ત પરિવારોને જરૂરી કેશડોલ્સ સહાય વહેલી તકે આપવાની તાકીદ કરી હતી.

મુલાકાત દરમિયાન સ્થાનિકોએ હર્ષ સંઘવીને તેમની સમસ્યાઓ રજૂ કરી હતી. જેને નાયબ મુખ્યમંત્રીએ ગંભીરતાથી સાંભળી તાત્કાલિક ઉકેલ માટે સંબંધિત વિભાગોને જરૂરી સૂચનાઓ આપી હતી. 

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકારનાગરિકોની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ છે. રસ્તા, ખાડી, સફાઈની નબળી કામગીરી કે છુપી ક્ષતિઓ કરનારાઓને માફ નહીં કરવામાં આવે. સરકારી વિભાગો દ્વારા કરવામાં આવતી રોડ રસ્તા કે અન્ય કોઈ પણ નવી કામગીરી તેમજ પૂરની સ્થિતિ સર્જાવા સંદર્ભે કામોમાં જો કોઈ નબળી ગુણવત્તા કે છૂપી ક્ષતિઓ બહાર આવશે તો તેની સંપૂર્ણ તપાસ કરાશે. આ પ્રકારની બેદરકારી આચરનારા કે તેમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક કાનૂની રાહે પગલાં ભરવાની સૂચના તમામ ઉચ્ચ અધિકારીઓને આપી હોવાનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.