Wed Jun 17 2026

Logo

ગુજરાતમાં 23 થી 25 જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાશે

2026-06-17 21:42:42
Author: Chandrakant Kanoja
Article Image

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને  મંત્રીમંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા જનહિતલક્ષી નિર્ણયો અંગે મીડિયાને વિગતો આપતા પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારે શાળા પ્રવેશોત્સવ, ચોમાસાની આપત્તિ વ્યવસ્થાપનથી લઈને ઉદ્યોગ અને કર્મચારી કલ્યાણ ક્ષેત્રે અનેક મહત્વના નિર્ણયો કર્યા છે.

શૈક્ષણિક કીટ અને નોટબુકો આપીને આવકારવામાં આવશે 

મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યભરમાં આગામી તા. 23 થી 25  જૂન દરમિયાન “શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-2026 " યોજાશે. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો અને ઉચ્ચ વહીવટી અધિકારીઓ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જઈને નાના બાળકોને શાળામાં પ્રવેશ કરાવશે. શાળામાં પ્રથમ વખત પ્રવેશ મેળવતા બાળકો અને નંદઘરના ભૂલકાઓને શૈક્ષણિક કીટ અને નોટબુકો આપીને આવકારવામાં આવશે.

મંત્રીએ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રીએ આપેલા આદેશ અંગે જણાવ્યું હતું કે, આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ રાજ્યના વહીવટીતંત્રને સંપૂર્ણપણે સજ્જ અને સતર્ક રહેવા આદેશ આપ્યા છે. દરેક જિલ્લામાં ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલ રૂમ શરૂ કરવા પણ સૂચના આપી હતી. આ ઉપરાંત ચોમાસા દરમિયાન પર્યાવરણની જાળવણી અને ગ્રીન કવર વધારવા માટે મહત્તમ વૃક્ષારોપણ કરવા પર પણ તેમણે વિશેષ ભાર મૂક્યો હતો. 

ઔધોગિક નીતિથી ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન મળશે

આ નીતિથી રાજ્યના નાના-મોટા ઉદ્યોગકારો અને એક્સટેન્શન કરતા ઉદ્યોગોને મોટું પ્રોત્સાહન મળશે. મુખ્યમંત્રીએ આ નીતિના પ્રમોશન અને ઉદ્યોગકારોની જરૂરિયાતોને સમજીને તેને પૂરી કરવા સૂચના આપી હતી.  આ ઉપરાંત પાણી બચાવવા અને સ્વચ્છતાને પ્રત્યેક નાગરિક પોતાની રોજિંદી જીવનશૈલીનો ભાગ બનાવે તે માટે વ્યાપક સ્તરે જનજાગૃતિના કાર્યો અને કાર્યક્રમો કરવા પણ મુખ્યમંત્રીએ વહીવટી તંત્રને વિશેષ માર્ગદર્શન આપ્યું છે.