Wed Jul 01 2026

Logo

હવે રાશન માટે લાઈન નહિ લાગે, ATMની જેમ મશીનમાંથી અનાજ મળશે! અમિત શાહે લોન્ચ કર્યું 'અન્નપૂર્તિ મશીન'...

2026-02-15 16:06:18
Author: Devayat
Article Image

ગાંધીનગર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે આજે ગાંધીનગરમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)નો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ પ્રધાન પ્રહલાદ જોશી અને ગુજરાતના મુખ્યમં પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

પોતાના સંબોધનમાં અમિત શાહે જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આજે ડિજિટલ ઇન્ડિયાનો વ્યાપ ખાદ્ય અને પુરવઠા વ્યવસ્થા સુધી પહોંચી રહ્યો છે. તેમણે કહ્યું કે પીએમ મોદીએ દેશના સંસાધનો પર પહેલો અધિકાર ગરીબો, દલિતો, પછાત વર્ગો અને આદિવાસીઓને આપ્યો છે. અગાઉ દેશમાં 60 કરોડ લોકો એવા હતા જેમની પાસે બેંક ખાતું નહોતું, પરંતુ આજે પીએમ મોદીના નેતૃત્વમાં વિશ્વના કુલ ડિજિટલ ટ્રાન્ઝેક્શનના અડધા વ્યવહારો ભારતમાં થઈ રહ્યા છે. આ વ્યવસ્થાથી ગરીબોને રાશન આપવાની પદ્ધતિમાંથી ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ થશે.

શાહે વધુમાં જણાવ્યું હતું કે જે રીતે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) એ દેશમાંથી કૌભાંડો બંધ કર્યા, તે જ રીતે ખાદ્ય પુરવઠા મંત્રાલયનું આ પગલું પારદર્શક વિતરણ પ્રણાલી સુનિશ્ચિત કરશે.વડા  પ્રધાનના 'મિનિમમ ગવર્મેન્ટ, મેક્સિમમ ગવર્નન્સ'ના મંત્રને આજે એક નવા ક્ષેત્રમાં જમીન પર ઉતારવાનું કામ થઈ રહ્યું છે. તેમણે 'અન્નપૂર્તિ મશીન'નું પણ લોકાર્પણ કર્યું, જે માત્ર 35 સેકન્ડમાં 25 કિલો અનાજનું વિતરણ કરે છે. આગામી 3-4 વર્ષમાં આ પ્રણાલી સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે.

તેમણે વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે અગાઉની સરકારમાં કૃષિ બજેટ માત્ર 26 હજાર કરોડ હતું, જેને મોદી સરકારે વધારીને 1.29 લાખ કરોડ કર્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે યુરોપિયન યુનિયન, ઈંગ્લેન્ડ અને અમેરિકા સાથેના વેપાર કરારોમાં પીએમએ ખેડૂતો અને ડેરી ક્ષેત્રના હિતોને સંપૂર્ણ સુરક્ષિત રાખ્યા છે. તેમણે ખાતરી આપી કે પીએમ મોદી ક્યારેય ખેડૂતો, માછીમારો કે પશુપાલકોના હિતો સાથે બાંધછોડ કરશે નહીં.