અમદાવાદ : ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને હૃદય સંબંધી તકલીફ થતાં અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઈનરાન ખેડાવાળા અમદાવાદના જમાલપુર -ખાડીયાના ધારાસભ્ય છે. તેમને સોમવારે રાત્રે અચાનક છાતીમાં દુખાવો અને ભારે અસ્વસ્થતા અનુભવતા તેમને તાત્કાલિક તબીબી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તપાસ દરમિયાન તેમના હૃદયની એક નળીમાં 90 ટકા જેટલું ગંભીર બ્લોકેજ હોવાનું રિપોર્ટમાં જાણવા મળ્યું છે.
અચાનક છાતીમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ
આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ, ઇમરાન ખેડાવાલાને અચાનક છાતીમાં દુખાવો શ્વાસ લેવામાં તકલીફ જેવી ફરિયાદો જણાઈ હતી. પરિવારજનો અને નજીકના સહયોગીઓએ પરિસ્થિતિની ગંભીરતા સમજતા તરત જ તેમને હોસ્પિટલ લઈ જવાનો નિર્ણય કર્યો હતો.
સંપૂર્ણ આરામ અને તાણમુક્ત રહેવાની સલાહ આપી
ખાનગી હોસ્પિટલના નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા તેમનું ઈસીજી, 2D ઈકો, બ્લડ ટેસ્ટ સહિતના જરૂરી રિપોર્ટ લેવામાં આવી રહ્યા છે. હોસ્પિટલ સ્રોતો મુજબ હાલ તેમની સ્થિતિ સ્થિર છે અને ચિંતા કરવાની જરૂર નથી, તેમ છતાં આગામી 24થી 48 કલાક સુધી તેમને તબીબી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. તબીબોએ સંપૂર્ણ આરામ અને તાણમુક્ત રહેવાની સલાહ આપી છે.
સ્વાસ્થ્ય માટે પ્રાર્થના
ઇમરાન ખેડાવાલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાની માહિતી મળતા કોંગ્રેસનાં આગેવાનો અને કોંગ્રેસી ધારાસભ્યો ઇમરાન ખેડાવાલાના ખબરઅંતર પુછવા માટે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જમાલપુર-ખાડિયા વિસ્તારમાં પણ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિક વેપારીઓ અને સમાજના આગેવાનો તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરી રહ્યા છે.