ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે નાણાં પ્રધાન કનુભાઈ દેસાઈ રાજ્યનું બજેટ રજૂ કરી રહ્યા છે. પોલિસી ડ્રીવન સ્ટેટ તરીકે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નીતિઓ જાહેર કરેલ છે. જેમાં ગુજરાત સ્પેસટેક પોલિસી, ગુજરાત ઇલેકટ્રોનિક્સ કોમ્પોનન્ટ મેન્યુફેક્ચરીંગ પોલિસી, એકશન પ્લાન ફોર ઇમ્પલીમેન્ટેશન ઓફ AI, ઇન્ટીગ્રેડેટ રીન્યુએબલ એનર્જી પોલિસી અને ગુજરાત ગ્રીન હાઇડ્રોજન પોલિસીનો સમાવેશ થાય છે.
AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે
જેનાથી યુવા પ્રતિભાને AI આધારિત રિસર્ચ અને કુશળતા વિકસાવવામાં નવી તકો મળશે. સેમી કન્ડક્ટર્સ અને હાઇ વેલ્યુ મેન્યુફેક્ચરીંગમાં વધુ વેગ આવશે. કૃષિ, આપત્તિ વ્યવસ્થાપન, શહેરી આયોજન અને ગવર્નન્સ વધુ અસરકારક બનશે. તેમજ રીન્યુએબલ એનર્જીનો મહત્તમ ઉપયોગ કરી કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થશે. જે ગુજરાતને આત્મનિર્ભર ભારત અને વિકસિત ગુજરાત@૨૦૪૭ના લક્ષ્યને સાકાર કરવામાં મદદરૂપ થશે.
ગુજરાતની માથાદીઠ આવક
રાજ્ય સરકારના આ પ્રયાસોથી ગુજરાતની આર્થિક ગતિશીલતા રાષ્ટ્રીય વિકાસમાં આગવી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આજે દેશના જીડીપીમાં ગુજરાતનો ફાળો ૮.૨ ટકા છે. ગુજરાતની માથાદીઠ આવક ₹૩ લાખ ૧ હજાર (₹૩,૦૧,૦૦૦) છે. જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ૬૦%થી વધારે છે. જેમાં ગુજરાત દેશના રાજ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના
GYAN એટલે કે, ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા આ બજેટમાં વિવિધ જોગવાઇઓ કરવામાં આવેલ છે. એક કલ્યાણકારી રાજ્ય તરીકે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને પાકું ઘર આપી “ઘર સૌના માટે”નો સંકલ્પ સાચા અર્થમાં સાકાર કરવામાં આવી રહ્યો છે. જે હેઠળ પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ અને શહેરી), ડૉ.આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓ હેઠળ આ વર્ષે આશરે ૩ લાખ ૧૫ હજારથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે. જેના માટે ₹૪૨૭૨ કરોડની જોગવાઇ સૂચવું છું.
સમાજના પછાત અને નબળા વર્ગના તેમજ આદિજાતિ લોકોના વિકાસ માટે સરકાર હંમેશા સંવેદનશીલ છે. વિવિધ નિગમો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં ૧ લાખ ૩૫ હજારથી વધુ લાભાર્થીઓને ઉચ્ચ શિક્ષણ માટે લોન તેમજ આર્થિક સહાય આપવામાં આવી છે. નિગમોની આ કામગીરીને વેગ આપવા માટે કુલ ₹૮૬૯ કરોડની જોગવાઇ કરું છું.
નાગરિકોની અન્નસુરક્ષાના અભિગમથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે ૭૫ લાખથી વધુ કુટુંબોને વિનામૂલ્યે અનાજ આપવાનું ભગીરથ કાર્ય સરકાર કરી રહી છે.
રાજ્ય સરકાર દ્વારા ૫૩ હજારથી વધુ આંગણવાડી કેન્દ્રોને પોષણ, પ્રારંભિક બાળ શિક્ષણ અને આરોગ્ય સેવાના મજબૂત આધાર સ્તંભ તરીકે વિકસાવવામાં આવી રહ્યાં છે. આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં વધારો કરતાં આ વર્ષે નવી બે હજાર આંગણવાડીઓના નિર્માણ માટે ₹૩૬૦ કરોડની જોગવાઇ કરવામાં આવી.
ગુણવત્તાયુકત આરોગ્ય સેવાઓ દ્વારા સ્વસ્થ સમાજનું નિર્માણ કરવાની રાજ્ય સરકારની નેમ છે. “પ્રધાનમંત્રી જન આરોગ્ય–મુખ્યમંત્રી અમૃતમ (મા યોજના)” યોજના હેઠળ ૨ કરોડ ૭૨ લાખથી વધુ લોકોનો સમાવેશ કરેલ છે. જેમાં ૬૮ લાખથી વધુ લોકોએ કેશલેસ સારવારનો લાભ લીધો છે. આ યોજના માટે ₹૩૪૭૨ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
ગરીબ અને મધ્યમવર્ગના દંપતીઓને ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીસ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ ખાતે IVF સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. આ સેન્ટરના વિસ્તૃતિકરણ ઉપરાંત સુરત, ભાવનગર અને જામનગર ખાતે આ પ્રકારની સુવિધા શરૂ કરવાનું આયોજન છે.